Get The App

રાજકોટના ગોંડલમાં શેમળા ગામે એક જ પરિવારના 3 બાળકો તળાવમાં ડૂબી જતા મોત

Updated: Jun 5th, 2026

GS TEAM

Google News
Google News
રાજકોટના ગોંડલમાં શેમળા ગામે એક જ પરિવારના 3 બાળકો તળાવમાં ડૂબી જતા મોત 1 - image

Rajkot News: રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના શેમળા ગામમાંથી કાળજું કંપાવતી ઘટના સામે આવી છે. ગામમાં આવેલી એક વાડી નજીકના ઓરિયા તળાવમાં રમતા-રમતા ડૂબી જવાથી એક જ શ્રમજીવી પરિવારના 3 માસૂમ બાળકોના મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય એક બાળકની સ્થિતિ અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. વેકેશનના માહોલ વચ્ચે એક જ પરિવારના ત્રણ-ત્રણ વહાલસોયા બાળકો ગુમાવતા શ્રમજીવી પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને પરિવારના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું છે.

રમતા-રમતા તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થયા માસૂમો

મળતી વિગતો અનુસાર, શેમળા ગામની એક વાડીમાં મજૂરી કામ કરતા શ્રમજીવી પરિવારના બાળકો વાડી નજીક આવેલા ઓરિયા તળાવ પાસે રમી રહ્યા હતા. આ દરમિયાન રમતા-રમતા અચાનક જ ચારેય બાળકો પગ લપસવાને કારણે અથવા ઊંડાણનો અંદાજ ન આવતા તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને ડૂબવા લાગ્યા હતા. બાળકો પાણીમાં ડૂબી રહ્યા હોવાની જાણ આસપાસના લોકોને થતાં જ વાડી માલિક અને પરિવારના સભ્યો તાત્કાલિક તળાવ તરફ દોડી ગયા હતા. તેમણે ભારે જહેમત બાદ ચારેય બાળકોને પાણીમાંથી બહાર કાઢ્યા હતા.

બાળકોને પાણીમાંથી બહાર કાઢીને સમય બગાડ્યા વિના તાત્કાલિક એક ખાનગી કાર મારફતે ગોંડલની હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલ ખાતે ફરજ પરના તબીબોએ ત્રણેય બાળકોને તપાસીને મૃત જાહેર કર્યા હતા. તબીબોની આ જાહેરાત સાથે જ હોસ્પિટલ પરિસરમાં પરિવારજનોના કરુણ આક્રંદથી હાજર રહેલા તમામ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી.

આ પણ વાંચો: અમદાવાદમાં અધિકારીઓ અને ફેમસ વ્યક્તિઓ સાથેના ફોટા બતાવી લૂંટતું દંપતી ઝડપાયું, 15 લોકો પાસેથી 20 કરોડ પડાવ્યા

ચોથા બાળકની સ્થિતિ નાજુક

આ ગોઝારી ઘટનામાં ગંભીર રીતે ભોગ બનેલા ચોથા બાળક સાહિલનો આબાદ બચાવ થયો છે, પરંતુ તેની સ્થિતિ ચિંતાજનક છે. તેને સૌપ્રથમ ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડીને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. તેની તબિયત વધુ લથડતા અને ફેફસામાં પાણી ભરાઈ જવાને કારણે વધુ ગંભીર સારવાર માટે તાત્કાલિક રાજકોટની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે, જ્યાં હાલ તે જિંદગી અને મોત વચ્ચે જંગ લડી રહ્યો છે.

ઘટનાની જાણ થતાં જ ગોંડલ પોલીસનો કાફલો હોસ્પિટલ અને ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતક બાળકોના શવને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે સમગ્ર શેમળા ગામ સહિત પંથકમાં અરેરાટી સાથે ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.