Get The App

VIDEO: એક ટીપ અને 120 કિલો ચાંદીની ચોરી, જાણો કેવી રીતે વડોદરામાં રહેતા આરોપીએ રાજકોટમાં ચોરીને આપ્યો અંજામ

Updated: Feb 9th, 2026

GS TEAM

Google News
Google News
VIDEO: એક ટીપ અને 120 કિલો ચાંદીની ચોરી, જાણો કેવી રીતે વડોદરામાં રહેતા આરોપીએ રાજકોટમાં ચોરીને આપ્યો અંજામ 1 - image


40 કિલો ચાંદીના જથ્થા સાથે આરોપી પ્રદીપની ધરપકડ, મુખ્ય સૂત્રધાર ફરાર 

120 kg Silver Theft Case: અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે ગુનાના ગણતરીના દિવસોમાં રાજકોટમાં નોંધાયેલા 120 કિલોથી વધુ ચાંદીના દાગીના સાથે સંકળાયેલી મોટી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે, જેમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને 40.738 કિલો વજનના ચાંદીના દાગીના જપ્ત કરવામાં આવ્યા છે.  મુખ્ય આરોપી મુકેશ હજુ પણ ફરાર છે, જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. 

પોલીસ તપાસમાં મોટા ખુલાસા

પોલીસના જણાવ્યા અનુસાર, રાજકોટના પંચકનગર વિસ્તારમાં આવેલી શક્તિ સિલ્વર નામની પેઢીમાં 3 ફેબ્રુઆરીના રોજ સાંજે 4.30 થી 4 ફેબ્રુઆરીના રોજ સવારે 8.45 વાગ્યાની વચ્ચે ચોરી થઈ હતી. ફરિયાદ બાદ, રાજકોટ શહેર 'બી' ડિવિઝન પોલીસે 4 ફેબ્રુઆરીના રોજ FIR નોંધી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમોએ ગુપ્ત માહિતી અને ટેકનિકલ દેખરેખનો ઉપયોગ કરીને કેસની સમાંતર તપાસ શરૂ કરી. તપાસ દરમિયાન, ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદ શહેરના નરોડાના રહેવાસી અને મૂળ રાજસ્થાનના સિરોહી જિલ્લાના વતની પ્રદીપ ચંપાલાલ પ્રજાપતિ(હાલ નરોડા, ઉંમર વર્ષ 24)ને શોધી કાઢ્યો અને તેની ધરપકડ કરી, જે 40.738 કિલો વજનના ચોરાયેલા ચાંદીના દાગીના કબજે કરવામાં આવ્યા હતા. 

કેવી રીતે ચોરીને આપ્યો અંજામ?

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને બે દિવસ અગાઉ ગુપ્ત રાહે માહિતી મળી હતી કે રાજકોટમાં જે ચાંદીની ચોરી થઈ છે તેનો એક જથ્થો અમદાવાદમાં આવ્યો છે. ગીતામંદિર પાસે એક મોબાઈલ શોપ છે ત્યાં મોબાઈલ રિપેરિંગનું કામ કરતાં પ્રદીપ નામના શખસ પાસે તે જથ્થો છે. માહિતીની ખરાઈ કર્યા બાદ પ્રદીપ પ્રજાપતિની અટક કરી પૂછપરછ કરવામાં આવી હતી. 

ચોરી કરવાનો જે પ્લાન હતો તે મુખ્ય આરોપી મુકેશે ઘડ્યો હતો, તે અગાઉ ડ્રાઈવિંગનું કામ કરતો હતો જે દરમિયાન એક ટીપ મળેલી હતી કે શક્તિ સિલ્વરમાંથી અમુક દાગીના છે તેમાં ઘણી વખત ચાંદીનો મોટો જથ્થો ઘરે પણ રાખવામાં આવતો હોય છે. એ બાતમીને આધારે મુકેશે રેકી કરી આ ગુનાને અંજામ આપ્યો હતો. રાજકોટમાં ચોરી કરી તમામ મુદ્દામાલ અમદાવાદ લાવવામાં આવ્યો હતો, જેમાંથી 40 કિલો પ્રદીપને રાખવા માટે આપ્યો હતો. પ્રદીપ રાજકોટ ચોરી કરવા ગયો ન હતો, આ ચોરીનો મુખ્ય સૂત્રધાર મુકેશ પ્રજાપતિ છે, જે પ્રદીપના મામાનો દીકરો થાય છે. તેને ચોરેલો માલ હાલમાં ધરપકડ કરાયેલ પ્રદીપને થોડા દિવસ માટે સંતાડીને રાખવા આપ્યો હતો. બાકીનો માલ મુકેશે ક્યાંક સંતાડેલો છે તેની પૂરતી માહિતી પોલીસને હજુ સુધી મળી નથી. અન્ય બે ત્રણ વ્યક્તિ પણ આ ગુનામાં સંડોવાયેલા છે.

રાજકોટ શહેર 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો

પોલીસે જણાવ્યું હતું કે જપ્ત કરાયેલી વસ્તુઓમાં બાળકો માટે બનાવાયેલા ચાંદીની બંગડીઓ અને ચાંદીના હારનો સમાવેશ થાય છે. રિકવરી બાદ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.ભારતીય ન્યાય સંહિતા, 2023ની સંબંધિત કલમો હેઠળ રાજકોટ શહેર 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

મુખ્ય આરોપી મુકેશ રીઢો ગુનેગાર

વધુ તપાસમાં જાણવા મળ્યું કે ચોરીનો મુખ્ય આરોપી મુકેશ રામારામ પ્રજાપતિ  જે પ્રદીપના મામાનો દીકરો છે, જે રાજસ્થાનના સિરોહી જિલ્લાનો વતની હતો અને હાલમાં વડોદરાના તરસાલી વિસ્તારમાં રહેતો હતો. મુકેશ પ્રજાપતિ એક રીઢો ગુનેગાર છે જેની અગાઉ અમદાવાદના રામોલ, ઇસનપુર અને નિકોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અનેક ઘરફોડ ચોરીના કેસોમાં ધરપકડ કરવામાં આવી હતી.

આરોપીનો કેસ રાજકોટ ટ્રાન્સફર કરાશે

આરોપીની પૂછપરછ દરમિયાન ખુલાસો થયો છે કે મુકેશ પ્રજાપતિએ રાજકોટમાં ચોરી કરી હતી અને લગભગ 40 કિલો ચાંદીના દાગીનાવાળી બેગ પ્રદીપ પ્રજાપતિને સુરક્ષિત રાખવા આપી હતી. ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરાયેલા આરોપીને કેસ પેપર્સ સાથે રાજકોટ શહેર 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વધુ તપાસ માટે ટ્રાન્સફર કરવા માટે પગલાં શરૂ કર્યા છે. ફરાર આરોપી મુકેશ રામારામ પ્રજાપતિને શોધી કાઢવા અને ધરપકડ કરવા માટે પણ પ્રયાસો ચાલુ છે.

80 કિલોથી વધુ ચાંદી ક્યાં ગઈ?

શું બાકીની 80 કિલોથી વધુ ચાંદી અમદાવાદના બજારમાં વેચાઈ ગઈ છે? તપાસમાં જાણવા મળ્યું છે કે ચોરાયેલા ચાંદીના દાગીનાનો એક ભાગ અમદાવાદના એક બુલિયન ડીલરને વેચવામાં આવ્યો હતો. બાકીની ચોરાયેલી મિલકત રિકવર કરવા અને ગુનામાં સંડોવાયેલા અન્ય બે ત્રણ વ્યક્તિઓને ઓળખવા માટે ક્રાઈમ બ્રાન્ચની અનેક ટીમો તૈનાત કરવામાં આવી છે.