Get The App

સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદથી ઉનાળુ પાકને અસર

Updated: Apr 4th, 2026

GS TEAM

Google News
Google News
સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદથી ઉનાળુ પાકને અસર 1 - image

- જિલ્લામાં વધુ એક માવઠાની મારથી ધરતીપુત્રો ચિંતાતુર

- ભારે પવનના કારણે બાગાયત પાકોનો ફાલ ખરી પડયો, તલ, બાજરી, કઠોળ સહિતના વાવેતરને અસર  

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં ત્રીજા વર્ષે ઉનાળામાં માવઠું પડતા ખેડૂતોને નુકસાન થયું છે. વાતાવરણમાં આવેલા પલટા અને વરસાદી ઝાપટાને કારણે ૩૨,૦૦૦ હેક્ટરમાં વવાયેલા ઉનાળુ પાક અને તૈયાર પડેલા માલને ભારે નુકસાન થવાની દહેશત વ્યાપી છે. 

સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એકવાર કુદરતે રોદ્વ સ્વરૃપ ધારણ કરતા વાતાવરણમાં પલટો આવ્યો છે. છેલ્લા ત્રણ વર્ષથી સતત ઉનાળામાં પડતા માવઠાને કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. ચાલુ વર્ષે જિલ્લામાં ૩૨,૦૦૦ હેક્ટર જમીન પર તલ, બાજરી, કઠોળ અને શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું હતું. જોકે, થાનગઢ, વઢવાણ અને સાયલા પંથકમાં પડેલા વરસાદી ઝાપટાથી ખેતરોમાં રહેલી વરિયાળી અને ચણાના તૈયાર માલને વ્યાપક નુકસાન પહોંચ્યું છે.

રાજ્યમાં વર્ષ ૨૦૨૦થી પાક વીમા યોજના બંધ કરી દેવામાં આવી હોવાથી ખેડૂતોને કોઈ આથક વળતર મળી રહ્યું નથી. એક તરફ આકાશી આફત અને બીજી તરફ સરકારી સહાયનો અભાવ ખેડૂતોને પાયમાલી તરફ ધકેલી રહ્યો છે. ખેડૂતોના મતે, અન્ય રાજ્યોમાં વીમા યોજના ચાલુ છે ત્યારે ગુજરાતમાં તે બંધ હોવાથી મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

મૂળી તાલુકાના ખેડૂતના જણાવ્યા મુજબ, સરકાર સર્વેના આદેશ તો આપે છે પરંતુ વાસ્તવિક સહાય મળતી નથી. ખેડૂતોએ માંગ કરી છે કે ૨૦૨૦થી બંધ પડેલી પાક વીમા યોજના પુનઃ શરૃ કરવામાં આવે જેથી કુદરતી આફત સમયે ખેડૂતોને યોગ્ય વળતર મળી શકે અને તેમની આથક સ્થિતિ સુધરે.

ભારે પવન અને માવઠાથી બાગાયત પાકને ફટકો

જિલ્લામાં ફૂંકાયેલા તેજ પવનને કારણે સૌથી વધુ નુકસાન બાગાયત પાકોને થયું છે. વઢવાણ, મૂળી અને ધ્રાંગધ્રા વિસ્તારમાં દાડમ, સરગવો, આંબો અને લીંબુ જેવા પાકો પર આવેલો ફાલ ખરી પડતા ખેડૂતોનો મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. વર્ષમાં એક જ વાર આવતી સીઝન નિષ્ફળ જતાં બાગાયતી ખેતી કરતા ખેડૂતો પાયમાલ થયા છે.