છોટા ઉદેપુર જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદને પગલે પાવી જેતપુર તાલુકાના ઝાબ (પાણીબાર) ગામ પાસે આવેલો કોઝવે ટોકરવા કોતરના પૂરના પ્રવાહમાં ધોવાઈ ગયો છે. કોઝવેનો મોટો ભાગ તૂટી પડતાં બોરધા, નાની અમરોલ, સજૂલી અને દેગલા સહિતના અનેક અંતરિયાળ ગામોનો મુખ્ય માર્ગ સાથેનો સંપર્ક સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે.
આ માર્ગ બંધ થવાના કારણે શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, નોકરીયાતો, ખેડૂતો અને દૂધ ઉત્પાદકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. દર વર્ષે ચોમાસામાં સર્જાતી આ સમસ્યાથી કંટાળીને ગ્રામજનોમાં વહીવટી તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ હવે માત્ર થીગડાં મારીને સમારકામ કરવાના બદલે અહીં કાયમી ધોરણે પાકો પુલ બનાવવાની ઉગ્ર માંગ કરી છે.














