Gujarat

વડોદરા: આજવા રોડ તક્ષ-ગેલેક્ષીમાં પાણી મુદ્દે દેખાવો યોજી વિરોધ

By GS Team
30 Oct 20212 mins read
This article was originally published on 30 Oct 2021
વડોદરા: આજવા રોડ તક્ષ-ગેલેક્ષીમાં પાણી મુદ્દે દેખાવો યોજી વિરોધ

- દિવાળી ટાણે તળાવના પાણીથી ઘરની સફાઈ કરતા સ્થાનિકો

વડોદરા,તા.30 ઓક્ટોબર 2021,શનિવાર

વડોદરા શહેર બાયપાસ વાઘોડિયારોડ થી આજવારોડ હાઇવે ખાતેની તક્ષ ગેલેક્ષીમાં  છેલ્લા ત્રણ વર્ષથી પીવાના પાણીની સમસ્યા મુદ્દે સ્થાનિકોએ અનેકવાર જવાબદાર અધિકારીઓને લેખિત અને મૌખિક રજૂઆત કરી હોવા છતાં છતાં સમસ્યાનું નિરાકરણ નહીં આવતાં આજરોજ દેખાવો યોજી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. અત્રે નોંધનીય છે કે સોસાયટીમાં દિવાળી ટાણે પાણીનો કકળાટ સર્જાતાં રહીશોને ઘરની સાફ-સફાઇ માટે તળાવના પાણીનો ઉપયોગ કરવાનો વારો આવતાં પાલિકા માટે શરમજનક બાબત સામે આવી છે.

વડોદરા શહેરના વાઘોડિયારોડથી આજવારોડ તરફના હાઇવે પર આવેલ તક્ષ-ગેલેક્ષી ખાતે સ્થાનિકો પાસેથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા પીવાના પાણી, ડ્રેનેજ સહિતના વેરા લેવામાં તો આવે છે પરંતુ તેઓને  પાણીની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી નથી સ્થાનિકો દ્વારા આ મુદ્દે અનેકવાર લેખિતમાં તથા મૌખિક રીતે પાલિકાના અધિકારીઓ ને, મ્યુનિ. કમિશ્નરને તથા સ્થાનિક કાઉન્સિલરોને રજૂઆત કરી હતી તેમછતાં પણ આજદિન સુધી આ વેરો ભરતા તક્ષ ગેલેક્ષીના રહીશોને પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી નથી જ્યારે કે વેરો લેતા વડોદરા મહાનગરપાલિકાએ પીવાના પાણી સહિતની સુવિધાઓ આપવાની હોય છે તેમછતાં અહીં તક્ષ ગેલેક્ષીના સ્થાનિકોને વેચાતા પાણીના ટેન્કરો અને જગ મંગાવવાનો વારો આવે છે ત્યારે આજરોજ સ્થાનિકોએ કંટાળીને આખરે પાલિકા તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરી વિરોધ નોંધાવ્યો હતો.

આ સમગ્ર મામલે તક્ષ-ગેલેક્ષીના પ્રમુખ કિશોર પારેખે પાલિકા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા. આ અંગે સોસાયટીના પ્રમુખ કિશોરભાઈ પારેખએ જણાવ્યું હતું કે, અગાઉ ધરણા પ્રદર્શન યોજાયા બાદ અગાઉના મ્યુનિસિપલ કમિશનર પી સ્વરૂપે પાણીની ટેન્કરો પૂરી પાડી હતી પરંતુ હવે શાલિની બેન અગ્રવાલ નવા મ્યુનિસિપલ કમિશનર બનતા પાણીની ટેન્કરો બંધ થઈ ગઈ છે અને મોંઘા ભાવે અમે પાણીની ટેન્કર મંગાવીએ છે જે પોસાતું નથી. કોર્પોરેશન પાણીનો વેરો વસૂલે છે તો સુવિધા પણ પૂરી પાડે તે જરૂરી છે. અત્રે નોંધનીય છે કે દિવાળી પર્વ એ ઘરમાં સાફ-સફાઈ માટે તળાવમાંથી પાણીનો ઉપયોગ કરવાનો વારો આવ્યો છે રોગચાળો ફાટી નીકળે તો જવાબદાર કોણ તે પ્રશ્ન અહીં ઉદભવ્યો છે.