Gujarat

કાયદેસરના ડ્રેનેજ જોડાણ કાપવાના મુદ્દે પૂર્વ ઝોન મ્યુનિ.કચેરીમાં ધરણા

By GS Team
29 Nov 20211 min read
This article was originally published on 29 Nov 2021
કાયદેસરના ડ્રેનેજ જોડાણ કાપવાના મુદ્દે પૂર્વ ઝોન મ્યુનિ.કચેરીમાં ધરણા

અમદાવાદ,તા.29 નવેમ્બર 2021,સોમવાર

પૂર્વ ઝોનમાં મ્યુનિ.કચેરી ખાતે સોમવારે  કોર્પોરેટરોની આગેવાનીમાં વેપારીઓ સહિતના આગેવાનોએ સોમવારે ધરણા-સૂત્રોચ્ચર કરીને પ્લે કાર્ડ દર્શાવીને ઝોનમાં ડ્રેનેજ જોડાણો કાપવાની નીતિનો વિરોધ કર્યો હતો.  એસ્ટેટોમાં કાયદેસરના જોડાણ પણ આડેધડ કાપી નાંખવામાં આવી રહ્યા છે જેને લઇને ડેપ્યુટી મ્યુનિ.કમિશનરને લેખિતમાં રજૂઆત કરીને આ અન્યાય બંધ કરવા રજૂઆત કરવામાં આવી હતી.

વિરાટનગર ખાતે આવેલી મ્યુનિ.કચેરીમાં મોટી સંખ્યામાં વેપારીઓએ હંગામો મચાવ્યો હતો. ડ્રેનેજ જોડાણની નીતિ નક્કી કરવામાં આવે તેવી માંગણી સાથે તેઓએ કચેરીના પ્રાંગણમાં જ વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધા હતા.

૩૫ થી ૪૦ વર્ષ જુના એસ્ટેટોમાં કે જ્યાં કાયદેસરના ડ્રેનેજના જોડાણો છે. તે પણ કાપી નાંખવામાં આવી રહ્યા હોવાનો આક્રોશ ઠાલવતા તેઓએ જણાવ્યું હતું કે શૌચાલય અને બાથરૂમના જોડાણો કપાઇ જતા ભારે હેરાનગતિ ભોગવવી પડી રહી છે.

તેઓએ જણાવ્યા હતું કે મ્યુનિ.તંત્ર ગેરકાયદે ડ્રેનેજ જોડાણ કાપે તેની સામે વાંધો નથી. પરંતુ કાયદેસરના જોડાણ પણ કાપી નાંખે તે બાબત ખોટી છે. કાયદેસર ડ્રેનેજ જોડાણ ન કાપો, ડ્રેનેજ કનેક્શન કાપવાની નીતિ નક્કી કરો, હાઇકોર્ટનું સન્માન કરીએ છીએ, ગેરકાયદેસર જોડાણ કાપો સહિતના લખાણો સાથેના પ્લે કાર્ડ લઇને વેપારીઓએ રજૂઆતો કરી હતી.

પૂર્વ ઝોનમાં અમરાઇવાડી, વિરાટનગર, ઓઢવ, ગોમતીપુર વગેરે વિસ્તારોમાં ૪૦ એસ્ટેટના એક હજારથી વધુ યુનિટોના ડ્રેનેજ જોડાણ અત્યાર સુધી કાપી નાંખવામાં આવ્યા છે. પરંતુ કાયદેસરના યુનિટોના જોડાણો ન કાપવામાં આવે તેવી માંગણી છે.