Get The App

નંદેસરીના ઉદ્યોગો પર ગેસનો ભાવ વધારો ઝીંકાતા ઉત્પાદનમાં ઘટાડો

એસ્ટેટના ૩૦૦ પૈકી ૨૦૦ ઉદ્યોગો ગેસ પર નિર્ભર, ૭૦ઉદ્યોગો ઔદ્યોગિક સ્ટીમ તરફ વળ્યાં

Updated: Mar 26th, 2026

GS TEAM

Google News
Google News
નંદેસરીના ઉદ્યોગો પર ગેસનો ભાવ વધારો ઝીંકાતા ઉત્પાદનમાં ઘટાડો 1 - image

નંદેસરી ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં ગેસના ભાવમાં થયેલા વધારાના કારણે ઉદ્યોગોની પરિસ્થિતિ કફોડી બની છે. એક તરફ વધતા ખર્ચનો ભાર ઉદ્યોગકારોને ભારે પડી રહ્યો છે. તો બીજી તરફ એમોનિયા, સોલ્વન્ટ, સલ્ફરના વધતા ભાવથી અનેક મુશ્કેલીઓનો સામનો કરવાનો વખત આવ્યો છે. હાલ અનેક એકમોમાં ઉત્પાદન ઘટયું હોવાની માહિતી સામે આવી છે.

નંદેસરી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં અંદાજે ૩૦૦ જેટલા નાના-મોટા ઉદ્યોગો કાર્યરત છે, જેમાંથી લગભગ ૨૦૦ ઉદ્યોગોને ગેસની સતત જરૂરિયાત રહેતી હોય છે. હાલ અદાણી કંપનીએ ગેસના ભાવમાં વધારો કરતા ઉત્પાદન ખર્ચ સીધો વધી રહ્યો છે, અને ગેસ આધારિત બોઇલર ચલાવતા ઉદ્યોગોને હાલ ડબલ ખર્ચસહન કરવો પડી રહ્યો છે.

નંદેસરી ઇન્ડસ્ટ્રિયલ એસોસિએશનના જણાવ્યા મુજબ, હાલ અદાણી કંપનીએ ગેસનો ભાવ વધાર્યો છે. કંપની જે ગેસ સપ્લાય કરી રહી છે તે અગાઉના સ્ટોકમાંથી જ છે, જે જૂના અને ઓછા દરે ખરીદવામાં આવ્યો હતો. તેથી અમારી માગ છે કે, હાલનો સપ્લાય પણ જૂના દર મુજબ જ આપવામાં આવે. જો હોમુંઝ જળસંધિ વિસ્તારમાં તનાવના કારણે આવનારા નવા જથ્થાના ભાવ વધે તો તે વધારાને સ્વીકારવામાં વાંધો નથી, પરંતુ હાલના સ્ટોક પર વધારાનો બોજો યોગ્ય નથી.

તો બીજી તરફ, ગેસ સંકટના પગલે મોટાભાગના ઉદ્યોગો ઔદ્યોગિક સ્ટીમ કનેક્શન તરફ વળી રહ્યા છે, જેના કારણે ઉદ્યોગ વિસ્તારોમાં સ્ટીમ માટે પડાપડી જેવી સ્થિતિ સર્જાઈ છે. હાલમાં નંદેસરીના ૭૦ ઉદ્યોગોએ સ્ટીમ કનેક્શન મેળવી લીધું છે. જો કે, સ્ટીમ તરફ નો આ વળાંક સંપૂર્ણપણે પડકારોથી રહિત નથી. બોઇલર સ્થાપન માટે ઊંચો પ્રારંભિક ખર્ચ ઉદ્યોગકારો માટે ચિંતાનો વિષય છે. પરંતુ સ્ટીમ સિસ્ટમથી કારખાનામાં જગ્યા બચત સાથે ઓપરેટર રાખવાની જરૂરિયાત રહેતી નથી.

ગેઇલ કંપની દ્વારા રોજના ૫ હજાર ક્યુબિક મીટર વપરાશ ધરાવતા ઉદ્યોગોને જ કનેક્શન આપવામાં આવે છે. નંદેસરી વિસ્તારના ઉદ્યોગકારોએ સૂચન આપ્યું છે કે, એક જ લાઈનમાં ૧૦ ઉદ્યોગો મળી ૫૦૦-૫૦૦ ક્યુબિક મીટર વપરાશ કરવા તૈયાર છે, છતાં પણ આ અંગે કોઈ સકારાત્મક નિર્ણય લેવાતો નથી. તદુપરાંત વડોદરા ગેસ વિભાગ તરફ થી પણ ઉદ્યોગોને ગેસ પુરવઠો પૂરો પાડવા માટે એસોસિએશન તરફથી પ્રયાસ થઈ રહ્યો છે.


૪૦ ટકાથી વધુ વપરાશ પરના ગેસના ભાવમાં વધારો કરાયો

નંદેસરીમાં અદાણી ગેસ કંપનીની સૂચના મુજબ કુલ વપરાશના ૪૦ ટકા સુધી ગેસના ભાવ યથાવત રાખવામાં આવ્યા છે, પરંતુ ૪૦ ટકા કરતાં વધુ વપરાશ પર ભાવમાં વધારો કરાયો છે. અગાઉ ૧ એમ. એમ.બી.ટી.યુ. (મિલિયન મેટ્રિક બ્રિટિશ થર્મલ યુનિટ્સ)ગેસનો દર રૂ. ૬૦ હતો, જે વધીને સીધો રૂ.૧૧૯ સુધી પહોંચ્યો છે. જો કે, એસોસિએશનની રજૂઆર્તોને ધ્યાનમાં લઈને ૪૦ ટકા ઉપરના વેપરોશ માટેના દરમાં ઘટાડો કરીને રૂા. ૮૨ પ્રતિ એમ.એમ.બી.ટી.યુ. ભાવ નક્કી કરાયો છે.


સલ્ફર, એમોનિયા, સોલ્વન્ટના ભાવમાં પણ વધારો

સલ્ફર, એમોનિયા, સોલ્વન્ટ ઉદ્યોગો માટે મૂળભૂત કાચામાલ તરીકે ઉપયોગમાં લેવાય છે. સલ્ફર અગાઉ પ્રતિ કિલો રૂપિયા ૮ ના ભાવે મળતો હતો, હવે પ્રતિ કિલો ૪૦ રૂપિયા ભાવ થયો છે. બીજી તરફ એમોનિયાના ભાવમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. એમોનિયાનો પ્રતિ લીટર રૂ.૮ નો ભાવ હતો, જે હાલ વધીને પ્રતિ લીટર રૂ. ૩૦ થઈ ગયો છે. આ ઉપરાંત સોલ્વન્ટ અગાઉ રૂ. ૩૧ પ્રતિકિલોથી વધી રૂ. ૫૩ પ્રતિકિલો થવા પામ્યો છે.


સમજદારી - સંયમથી કામ લેવા અપીલ

નંદેસરી ઔદ્યોગિક એસોસિએશનના ચેરમેન બાબુભાઈ પટેલનું કહેવું છે કે, હું છેલ્લા ૬૫ વર્ષથી ઇન્ડસ્ટ્રિઝ સાથે જોડાયેલો છું અને દર ૧૦ વર્ષે આવી પરિસ્થિતિનું નિર્માણ થતું રહે છે. અગાઉ કોરોના દરમિયાન પણ ઉદ્યોગોએ કઠિન પરિસ્થિતિનો સામનો કર્યો હતો, છતાં યોગ્ય આયોજનથી પરિસ્થિતિ કાબૂમાં રહી હતી. હાલ ઉદ્યોગોને સ્ટીમનો ઉપયોગ વધારવા સલાહ છે. એમોનિયા અને સલ્ફર જેવા કાચા માલ પર મોટાભાગની કેમિકલ ઇન્ડસ્ટ્રિઝ નિર્ભર છે. ઉદ્યોગકારોને આ સંજોગોમાં સંયમ અને સમજદારીથી કામ લેવા અપીલ કરી છે.