Gujarat

સુરત: દિવાળી સમયે આર્ટિફિશિયલ ફૂલોના ભાવોમાં 15 ટકાનો વધારો

By GS Team
30 Oct 20212 mins read
This article was originally published on 30 Oct 2021
સુરત: દિવાળી સમયે આર્ટિફિશિયલ ફૂલોના ભાવોમાં 15 ટકાનો વધારો

સુરત,તા.30 ઓક્ટોબર 2021,શનિવાર

કોઈપણ તહેવાર હોય હવે તહેવારોમાં આર્ટિફિશિયલ ફૂલો જ જોવા મળતા થાય છે. પરંતુ આ વખતે શહેરના આર્ટિફિશ્યલ ફૂલોનો બજારમાં સ્ટોક જ ઓછો આવ્યો હોવાના કારણે તેના ભાવમાં 15 ટકા સુધીનો વધારો થયો છે. કોરોનાના કારણે છેલ્લી બે દિવાળીઓ ફિક્કી જોવા મળી હતી. જેના કારણે ધંધા રોજગાર પર અસર પડી હતી.

દિવાળીને માંડ અઠવાડિયું બાકી છે ત્યારે માર્કેટમાં માહોલ જામી ગયો છે. બજારોમાં પગ મુકવાની પણ જગ્યા ન હોય તેમ ખરીદી માટે શહેરીજનો ઉમટી પડે છે. શહેરના બજારોની રોનક પાછી આવી ગઈ છે. દિવાળીના તહેવારમાં ઘરની સુંદર સજાવટ માટે લોકો અવનવા તોરણ, આર્ટિફિશયલ ફૂલો, રંગોળી, રોશની માટે સિરીઝ, ભગવાન માટેના હાર-તોરા, ટ્રેડિશનલ દીવડા સહિતની ખરીદી કરતા હોય છે.ઘરોની સજાવટ સહીત પૂજામાં ફૂલોની ભૂમિકા મહત્વની હોય છે. નેચરલ ફૂલોની માંગ સાથે આ આર્ટિફિશ્યલ ફુલોની માંગ પણ બજારોમાં જોવા મળી રહી છે. આ વર્ષે આર્ટિફિશયલ ફૂલોનો સ્ટોક બજારમાં 50 ટકા જ આવ્યો છે. જેના કારણે માર્કેટમાં 10 થી 15 ટકાનો ભાવમાં વધારો થયો છે.

આર્ટિફિશિયલ ફૂલો ના વેપારી દિનેશભાઈ એ કહ્યું કે તહેવારોમાં સમયમાં નેચરલ ફૂલોના ભાવમાં વધારો થઇ જતો હોવાથી મોટી સંખ્યામાં લોકો આર્ટિફિશયલ ફૂલો ખરીદવાનું પસંદ કરી રહ્યા છે. કારણ કે તે ફુલોનો ઉપયોગ તહેવાર બાદ પણ ઘરમાં સજાવટમાં કરી શકાતો હોય છે. આ ફૂલો લાંબા સમય સુધી ઉપયોગમાં લઇ શકતા હોવાથી હવે લોકો ઘર તેમજ દુકાનોમાં તોરણ અને ફુલહારમાં નેચરલ કરતા આર્ટિફિશયલ ફૂલો લેવાનું વધારે પસંદ કરે છે.

આર્ટિફિશયલ ફૂલોનો મોટાભાગનો માલ દિલ્હી અને મુંબઈથી આવતો હોય છે. જેના કારણે પેટ્રોલ ડીઝલના ભાવમાં થયેલા વધારાની અસર પણ ટ્રાન્સપોર્ટેશન પર પડી છે. આર્ટિફિશયલ ફૂલો સહીત આયાત થતી તમામ ચીજવસ્તુના ભાવમાં થોડો ઘણો વધારો જોવા મળી રહ્યો છે.