Get The App

આંકલાવના અંબાવ ગામે પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરાયા

Updated: Mar 11th, 2026

GS TEAM

Google News
Google News
આંકલાવના અંબાવ ગામે પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરાયા 1 - image

- ગ્રામ પંચાયત દ્વારા કાર્યવાહી

- 3 નોટિસો અને સામાન્ય સભાના ઠરાવ બાદ પંચાયત તંત્રએ કાર્યવાહી હાથ ધરી

આણંદ : આણંદના આંકલાવ તાલુકાના અંબાવ ગ્રામ પંચાયત દ્વારા ગામતળ અને સરકારી જમીનો પર થયેલા ગેરકાયદે દબાણો વિરુદ્ધ લાલ આંખ કરવામાં આવી છે. ગ્રામ પંચાયતની સામાન્ય સભાના ઠરાવ બાદ મંગળવારે પોલીસ બંદોબસ્ત સાથે વિવિધ સ્થળોએથી ગેરકાયદે દુકાનો અને મકાનોના દબાણો દૂર કરી જમીન ખુલ્લી કરવામાં આવી છે.

આંકલાવ તાલુકાના અંબાવ ગામે સરકારી અને ગામતળની જમીન પર થયેલા દબાણોને કારણે અનેક અરજદારો દ્વારા પંચાયતમાં રજૂઆતો કરવામાં આવી હતી. આ ફરિયાદોના અનુસંધાનમાં અંબાવ ગ્રામ પંચાયત દ્વારા દબાણકર્તાઓને નિયમોનુસાર ત્રણ નોટિસો પાઠવવામાં આવી હતી. તેમ છતાં દબાણ દૂર ન થતા, ગત તા. ૨૪-૦૨-૨૦૨૬ની સામાન્ય સભામાં લેવાયેલા નિર્ણય મુજબ તા. ૧૦-૦૩-૨૦૨૬ના રોજ બપોરે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. સરપંચ, ડેપ્યુટી સરપંચ અને સભ્યોની ઉપસ્થિતિમાં પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદે બાંધકામો હટાવીને સરકારી જગ્યા સંપૂર્ણપણે ખુલ્લી કરવામાં આવી છે. આ અંગેનો અહેવાલ અને પંચક્યાસની નકલ તાલુકા વિકાસ અધિકારી તેમજ મામલતદાર આંકલાવને જાણ અર્થે મોકલી આપવામાં આવી છે