Get The App

પાલિતાણા અખાત્રીજના મેળામાં કાયદો-વ્યવસ્થા જાળવવા તંત્ર સજ્જ

Updated: Apr 18th, 2026

GS TEAM

Google News
Google News
પાલિતાણા અખાત્રીજના મેળામાં કાયદો-વ્યવસ્થા જાળવવા તંત્ર સજ્જ 1 - image

ડોળી યુનિયન યાત્રિકો પાસેથી વધારાના રૃા.૨૦ ઉઘરાવી નહીં શકે

ભાવનગર -  પાલિતાણા જૈન તીર્થ ખાતે અખાત્રીજનો મેળાનું વિશેષ આયોજન કરાયું હોય જે અંતર્ગત યાત્રિકોની સુરક્ષા-વ્યવસ્થા અને અડચણો દૂર કરવા નો પાર્કિંગ, એક માર્ગીય રસ્તા, ડોળી નોંધણી સહિતના જરૃરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામુ જારી કરવામાં આવેલ છે.

આગામી તા.૧૯-૪ થી તા.૨૦-૪ના રોજ અખાત્રીજનો જૈન સમાજનો મળો પાલિતાણા ખાતે યોજાનાર છે. જેમાં વાહનો મોટી સંખ્યામાં આવતા હોય છે. જેથી ટ્રાફિક નિયમન જળવાઇ રહે તે હેતુસર પાલિતાણા છેલ્લા ચકલાથી જય તળેટી સુધીના જાહેર રોડની બંને સાઇડમાં નો પાર્કિંગ રહેશે. તો જાહેરનામા અનુસાર સોનગઢથી પાલિતાણા શહેર તરફ આવતા રસ્તાને પાલિતાણા, ગારિયાધાર, ઘેટી, આદપુર તરફ જતા વાહનોને ભાવનગર રોડ રેલવે કોસીંગથી જમણી બાજુ જતા બાયપાસ રોડ થઇ સરદારનગર ચોકડી થઇ, ગારિયાધાર રોડ, ત્રણ રસ્તા થઇ સિંધી કેમ્પ, મહાવીર પેટ્રોલ પંપ થઇને છેલ્લા ચકલા પાલિતાણા હાઇસ્કૂલ પાર્કિંગ મેદાન સુધી. પાલિતાણા શહેરમાં પ્રવેશતા વાહનો માટે પાલિતાણા ભૈરવનાથ ચોકથી મહાવીર પેટ્રોલ પંપ માનસિંહજી હોસ્પિટલ છેલ્લા ચકલાથી પાલિતાણા હાઇસ્કૂલ પાર્કિંગ મેદાન વગેરે માર્ગો એકમાર્ગી જાહેર કરાયા છે. 

પાલિતાણા ડોળી એસોસીએશનના સુગમ અને સુદ્રઢ સુચાલન માટે ગિરિરાજ ઉપર જતી ડોળીઓની એક જ સ્થળેથી નોંધણી થાય તે ઉચિત જણાતું હોઇ, ડોળી લેબર યુનિયન ગ્રામ્ય-સીટી પાલિતાણાએ મજૂર સંઘોના નાયબ નોંધણી અધિકારી અને નાયબ શ્રમ આયુક્તની કચેરી, રાજકોટ ખાતે નોંધાયેલ યુનિયન હોઇ તેમજ ડોળી સુચાલન સમિતિના સભ્ય પણ હોઇ, જેથી ગિરિરાજ ઉપર જતી ડોળીઓ, ડોળી ઉપાડનારા તથા યાત્રિકોનું વિનામૂલ્યે રજિસ્ટ્રેશન આ યુનિયન મારફત થાય તેમજ ડોળી મારફત ગિરિરાજ ઉપર જતા તમામ યાત્રિકોની સુરક્ષા અને સલામતીની જવાબદારી આ યુનિયનની રહેશે તેમજ પાલિતાણા ગીરીરાજ જૈન તીર્થ ખાતે વિવિધ જૈન સંઘ અને આગેવાનો દ્વારા ડોળીમાં યાત્રા કરનાર યાત્રિકો પાસેથી ગેરકાયદેસર રીતે રૃા.૨૦ ઉઘરાવવામાં આવતા હોવાની વ્યાપક રજૂઆત બાબતે ભાવનગર જિલ્લા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે ગુજરાત પોલીસ તા.૧૭-૪ થી તા.૧૬-૫ સુધી નામ. ગુજરાત હાઇકોર્ટ સમક્ષ નાનુભઆઇ સંચાલિત યુનિયન દ્વારા કરવામાં આવેલ પીટીશનમાં નામ. ગુજરાત હાઇકોર્ટનો નિર્ણય આખરી રહેવાની શરતે પાલિતાણા ગિરીરાજ જૈન તીર્થ ખાતે ડોળી યુનિયન દ્વારા યુનિયનના નામે રૃા.૨૦ યાત્રિકો પાસેથી ઉઘરાવવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.