'કોંગ્રેસના કારણે કાશ્મીર દાયકાઓ સુધી સળગતું રહ્યું', કેવડિયામાં એકતા પરેડ બાદ PM મોદીનું સંબોધન

PM Modi In Gujarat: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 31 ઑક્ટોબર, 2025ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિના અવસર પર ગુજરાત પહોંચ્યા છે. નર્મદા જિલ્લામાં એકતા નગરની નજીક સરદાર પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી રાષ્ટ્રીય એકતા દિવસ પરેડનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમને સંબોધિત કરતાં તેમણે કહ્યું કે, કોંગ્રેસને અંગ્રેજો પાસેથી ગુલામીની માનસિકતા વારસામાં મળી છે. સરદાર પટેલ કાશ્મીરને ભારત સાથે જોડવા માગતા હતા. પરંતુ તે સમયના તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ તેમ થવા દીધું નહીં. કોંગ્રેસના લીધે કાશ્મીર દાયકાઓ સુધી સળગતું રહ્યું.
કોંગ્રેસના લીધે કાશ્મીરનો મુદ્દો સળગી રહ્યો છે
PM મોદીએ આગળ કહ્યું કે, કોંગ્રેસે કાશ્મીરમાં જે ભૂલ કરી, તેની આગ દાયકા સુધી ભભૂકી રહી છે. કોંગ્રેસની નબળી નીતિઓના કારણે કાશ્મીરનો એક હિસ્સો પાકિસ્તાનમાં જતો રહ્યો, પાકિસ્તાને ત્યાંથી આતંકવાદને હવા આપી, કાશ્મીર અને દેશને તેની મોટી કિંમત ચૂકવવી પડી પરંતુ કોંગ્રેસ હંમેશા આતંકવાદની આગળ નતમસ્તક રહ્યું છે.
દેશની એકતા અને સુરક્ષા જોખમમાં મૂકાઈ
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, આપણા દેશની એકતા અને આંતરિક સુરક્ષા ઘુસણખોરોના કારણે જોખમનો સામનો કરી રહી છે. દાયકાઓથી વિદેશી ઘુસણખોરો આપણા દેશમાં ઘૂસી રહ્યા છે અને સંસાધનોનો વ્યય કરી રહ્યા છે. જેના લીધે જનવસ્તીનું સંતુલન ખોરવાયું છે. દુર્ભાગ્યવશ પાછલી સરકારોએ આ ગંભીર સમસ્યાને અવગણતાં આંખ આડા કાન કર્યા છે. તેઓ વોટ બૅન્કની રાજનીતિ માટે રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં મૂકે છે. પ્રથમ વખત દેશે આ પડકારનો સીધો સામનો કર્યો અને અખંડિતતાની રક્ષા માટે દૃઢ અને નિર્ણાયક વલણ અપનાવ્યું છે.
15 દિવસ સુધી ચાલશે ભારત પર્વ
એકતા નગરમાં 1થી 15 નવેમ્બર સુધી સ્ટેચ્યુ ઑફ યુનિટીના પરિસરમાં ભારત પર્વ 2025નું આયોજન કરવામાં આવશે. જેમાં ભારતના સમુદ્ધ વારસો અને વિવિધતામાં એકતાની ભાવનાને પ્રદર્શિત કરવામાં આવશે. ડેમ વ્યુ પોઇન્ટ-1 પર દરરોજે સાંજે બે રાજ્ય પોતાની સાંસ્કૃતિક વિશેષતાની ઝાંખી દર્શાવતાં કાર્યક્રમ રજૂ કરશે.
દેશને નક્સલવાદ, માઓવાદ અને આતંકવાદ મુક્ત બનાવીશું
વડાપ્રધાને કહ્યું કે, લોખંડી પુરૂષ સરદારનો આ દેશ છે. અમે વૈચારિક લડાઈ પણ જીતી છે અને નક્સલવાદીઓના ઘરમાં જઈને તેમને માર્યા છે. તેનું પરિણામ દેશ સામે છે. 2014 પહેલાં દેશના આશરે 125 જિલ્લા માઓવાદી આતંકવાદની ઝપેટમાં હતાં. આજે આ સંખ્યા ઘટી 11 થઈ છે. જેમાં હજી પણ ત્રણ જિલ્લા નક્સલવાદનો ગંભીર સામનો કરી રહ્યા છે. હું દેશને વિશ્વાસ આપુ છું કે, જ્યાં સુધી દેશ નક્સલવાદ, માઓવાદ અને આતંકવાદથી સંપૂર્ણપણે મુક્ત નહીં થાય, ત્યાં સુધી અમે અટકીશું નહીં.

