Get The App

ધોળીધજા ડેમમાં પાણી ઠાલવતી કેનાલમાં પ્લાસ્ટિકના થર જામ્યા

Updated: Feb 22nd, 2026

GS TEAM

Google News
Google News
ધોળીધજા ડેમમાં પાણી ઠાલવતી કેનાલમાં પ્લાસ્ટિકના થર જામ્યા 1 - image

- 3 લાખની વસ્તીના આરોગ્ય સાથે ચેડાં

- સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ છતાં તંત્રની ઉદાસીનતાથી કેનાલમાં કચરાના ઢગ : તાત્કાલિક સફાઈ કરવા માંગ ઉઠી

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર શહેરની જીવાદોરી સમાન ધોળીધજા ડેમમાં પાણી ઠાલવતી નર્મદાની મુખ્ય કેનાલમાં અત્યારે પ્લાસ્ટિકનું ભારે સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ઢાંકી પંપિંગ સ્ટેશનથી ડેમ સુધી જતી આ કેનાલમાં દૂધરેજ પાસે પ્લાસ્ટિકની બોટલો, ઝભલાં અને અન્ય કચરાના થર જામી ગયા છે. 

એકતરફ મહાનગરપાલિકા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે દરોડાની કામગીરી કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ પીવાના પાણીની મુખ્ય કેનાલમાં જ આટલી મોટી માત્રામાં પ્લાસ્ટિક ઠાલવવામાં આવતા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠયા છે.

શહેરની અંદાજે ૩ લાખથી વધુની જનતાને આ કેનાલ મારફતે આવતા પાણીનું વિતરણ કરવામાં આવે છે. કેનાલમાં જામી ગયેલા પ્લાસ્ટિકના થરને કારણે પાણી પ્રદૂષિત થઈ રહ્યું છે, જે નાગરિકોના આરોગ્ય માટે ગંભીર જોખમ ઉભું કરી શકે છે. કેનાલમાં કચરો ફેંકનારા તત્વો સામે કડક તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે અને નર્મદા વિભાગ દ્વારા તાત્કાલિક કેનાલની સફાઈ હાથ ધરવામાં આવે તેવી માંગ સ્થાનિકોમાં પ્રબળ બની છે. જો સમયસર ગંદકી દૂર કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે.