Get The App

ગંદકી,તૂટેલા રોડથી લોકો ત્રાહિમામ, બાર મહિનાથી ઓઢવ રબારી વસાહતના મકાનોનો કાટમાળ યથાવત

મકાનો તોડી પાડયા પછી કોઈ કોર્પોરેટર કે ધારાસભ્ય જોવા પણ આવ્યા નથી,અમે મત આપવા જવાના જ નથી

Updated: Apr 9th, 2026

GS TEAM

Google News
Google News
ગંદકી,તૂટેલા રોડથી લોકો ત્રાહિમામ, બાર મહિનાથી ઓઢવ રબારી વસાહતના મકાનોનો કાટમાળ યથાવત 1 - image

અમદાવાદ,ગુરુવાર,9 એપ્રિલ,2026

અમદાવાદ પૂર્વમાં ઓઢવ વોર્ડ ઔધોગિક એકમોને લઈ સતત ધબકતો વોર્ડ છે.૨૬ એપ્રિલે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે મતદાન યોજાશે. આમ છતાં વોર્ડના રહીશો મતદાન કરવાના મૂડમાં નથી. ઠેર ઠેર ગંદકી અને તૂટેલા રોડથી લોકો ત્રાહિમામ છે. તો સ્થાનિક રહીશના આક્ષેપ મુજબ, બાર મહિના પહેલા અમને પ્લોટ આપવાનુ કહી રબારી વસાહતના મકાનો તોડી પડાયા હતા. મકાન તોડી પડાયા પછી કોઈ કોર્પોરેટર કે ધારાસભ્ય પણ જોવા આવ્યા નથી.રોડ ઉપરના ખાડા પુરાતા નથી.આમા મત આપીને શુ કરવાનુ? અમે મત આપવા જવાના નથી.

ઓઢવ વોર્ડમાં ગરીબ અને મધ્યમ વર્ગના રહીશોનુ પ્રમાણ વધુ છે.આ વોર્ડમાં વર્ષો પહેલા બનાવવામા આવેલા ઓઢવ ફાયર સ્ટેશન પાસે વરસાદી પાણીના નિકાલ માટે સિમેન્ટનો રોડ બનાવાયા પછી પણ ગત ચોમાસામા સમયસર વરસાદી પાણી ઓસરી શકયા નહોતા. ઓઢવ વોર્ડમાં આવેલા ચાર માળીયા ઉપરાંત ભવાનીનગર ટેકરા તેમજ રબારી વસાહત આસપાસ આવેલી ચાલીઓમાં રહેતા લોકો સુધી ભાજપનો કહેવાતો વિકાસ હજુ સુધી પહોંચ્યો નથી.ઓઢવ ચાર માળીયામા રહેતા લોકોના આક્ષેપ મુજબ, રોડ ખોદીને જતા રહયા છે.કોર્પોરેટરો અને કોર્પોરેશનમા રજુઆત કરવા છતાં કોઈ ખાડા પુરવા પણ આવતુ નથી.સફાઈનો પણ પ્રશ્ન છે.સવારે એક કલાક માંડ પાણી મળે છે એમા પણ પંદર મિનીટ તો પ્રદૂષિત પાણી આવે છે. અમારે બધાએ પૈસા ભેગા કરીને પાણી માટે ટેન્કર મંગાવવા પડે છે.પ્રભાતભાઈ મુખી નામના રહીશે આક્રોશ વ્યકત કરતા કહયુ,સ્ટેન્ડિંગ કમિટીમા ઠરાવ કરી ઓઢવ,જશોદાનગર સહિતની રબારી વસાહતમાં ચાલીસ વર્ષથી રહેતા માલધારી સમાજના લોકોને જંત્રીના ૨૫ ટકાના દરે પ્લોટ આપવાનો નિર્ણય લેવામા આવ્યો હતો.મકાનો  તોડયાનો કાટમાળ હજુ એમનો એમ પડેલો છે.અમને કોઈ રેકર્ડ પણ કોર્પોરેશન તરફથી આપવામા આવ્યો નથી.ઓઢવ વોર્ડની સ્થિતિ જોતા રાજકારણીઓએ વચનેષુ કિં દરિદ્રતા ઉકિત સાર્થક કરી છે.

ઓઢવ કેનાલ રોડ ઉપર બાઈક ચાલકનુ મોત થયુ હતુ

જુન-૨૫માં ઓઢવ વિસ્તારમાં ભારે વરસાદને પગલે ઓઢવ કેનાલ રોડ ઉપર પાણી ભરેલા ખાડામા ગરકાવ થઈ જવાથી ૪૫ વર્ષીય બાઈક ચાલક મનુભાઈ પંચાલનુ મોત થયુ હતુ.આ ઘટનાને લઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામા આવતી પ્રિ-મોન્સૂન કામગીરી ઉપર સવાલ કરવામા આવ્યા હતા.સાથે જ સ્થાનિક રહીશોમાં તંત્ર સામે આક્રોશ જોવા મળ્યો હતો.