Get The App

વડોદરાના લોકોએ પણ દિલ્હીની જેમ માસ્ક અને એર પ્યુરિફાયર સાથે જીવવું પડશે

Updated: Feb 14th, 2026

GS TEAM

Google News
Google News
વડોદરાના લોકોએ પણ દિલ્હીની જેમ માસ્ક અને એર પ્યુરિફાયર સાથે જીવવું પડશે 1 - image

વડોદરાઃ શહેરમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ એટલે કે હવાની ગુણવત્તા ચિંતાનો મુદ્દો બની રહ્યો છે.ગુરુવારે પણ એક્યૂઆઈ ઓરેન્જ ઝોનમાં એટલે કે જોખમી કેટેગરીમાં રહ્યો હતો.ગુરુવારે એક્યૂઆઈ ૨૪૩ નોંધાયો હતો.આ વર્ષે શહેરમાં એક્યૂઆઈ સંખ્યાબંધ વખત ઓરેન્જ ઝોનમાં ગયો છે ત્યારે નિષ્ણાતોનું માનવું છે કે, આ જ સ્થિતિ યથાવત રહી અને તંત્ર પ્રદૂષણને રોકવા માટે કોઈ કાર્યવાહી નહીં કરે તો ચાર- પાંચ વર્ષમાં સ્થિતિ વકરી જશે.

સાયન્સ ફેકલ્ટીના કેમેસ્ટ્રી વિભાગના વરિષ્ઠ પ્રોફેસર ડો.રાજેન્દ્રસિંહ જાડેજાનું કહેવું છે કે, પાંચ વર્ષ બાદ દિલ્હીની જેમ વડોદરામાં પણ લોકો એર પ્યુરિફાયર અને માસ્ક વગર રહીં નહીં શકે. શિયાળામાં સવારે અને સાંજ પછી પ્રદૂષણ એમ પણ વધારે રહેતું હોય છે.કારણકે વાતાવરણમાં નીચેની હવા ગરમ હોય છે અને ઉપરની હવા ઠંડી હોય છે.જેના કારણે પ્રદૂષણ ઉપર જઈ શકતું નથી.જોકે વડોદરામાં અત્યારે જે સ્થિતિ વકરી છે તેમાં સૌથી વધારે ફાળો શહેરમાં આડેધડ અને ઠેર ઠેર થયેલા ખોદકામનો છે.જેમાંથી ઉત્પન્ન થતી ધૂળ વાતાવરણમાં ભળી રહી છે.આ ઉપરાંત બાંધકામની પ્રવૃત્તિ સતત ચાલી રહી છે.વાહનોની વધતી જતી સંખ્યા અને તેના ધૂમાડાના કારણે પ્રદૂષણ વધી રહ્યું છે અને ઉદ્યોગો તો ખરા જ.

તેમના મત અનુસાર વાતાવરણમાં આવતા કુદરતી બદલાવોના કારણે અને હવા ગરમ થવાથી માર્ચ મહિનાથી પ્રદૂષણ ઓછુ થવા માંડશે તેવું લાગે છે. જોકે  જીપીસીબી, મ્યુનિસિપલ કોર્પોરેશન અને વહિવટી તંત્રે ખરેખર તો પ્રદૂષણ મોટી સમસ્યા બની શકે છે તે સ્વીકારવું રહ્યું.ખાલી હવાની ગુણવત્તા મોનિટર કરવાથી કશું નહીં થાય.તેને સુધારવા માટે પણ પગલા લેવા પડશે.

શહેરમાં ગ્રીન બેલ્ટ રહ્યા જ નથી, યુધ્ધના ધોરણે વૃક્ષો અને ઓક્સિજન પાર્કની જરુર

ડો.જાડેજાનું કહેવું છે કે, અમદાવાદની જેમ વડોદરામાં મોટી સંખ્યામાં ઓક્સિજન પાર્ક બનાવવાની જરુર છે.ઉપરાંત વિકાસના નામે વૃક્ષો કપાઈ રહ્યા છે અને લીલોતરી અદ્રશ્ય થઈ રહી છે.કાર્બન મોનોક્સાઈડ તેમજ કાર્બન ડાયોકસાઈડ કાબૂમાં લેવા યુધ્ધના ધોરણે મોટી સંખ્યામાં વૃક્ષોનું વાવેતર કરવું પડશે.વડોદરામાં આજે કમાટીબાગ, એમ.એસ.યુનિવર્સિટી કેમ્પસ અને રાજમહેલના કમ્પાઉન્ડને બાદ કરવામાં આવે તો સાચા અર્થમાં કોઈ ગ્રીન બેલ્ટ રહ્યા જ નથી.વિકાસના નામે શહેર પ્રદૂષણથી બેહાલ થઈ રહ્યું છે.

શહેરીજનોના ફેફસામાં ઝેર જઈ રહ્યું છે, આવનારા વર્ષોમાં અસ્થમા, એલર્જી, ફેફસાના રોગોના દર્દીઓ વધશે

સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ અને આંખ, કાન, ગળાના વરિષ્ઠ ડોકટર પ્રો.રંજન ઐયરે કહ્યું હતું કે, શહેરમાં ટ્રાફિક સિગ્નલ પર એક એક મિનિટ રોકાવું પડે છે.બીજી તરફ  ઠેર ઠેર થયેલા ખોદકામના કારણે ટ્રાફિક જામમાં વાહન ચાલકો અટવાય છે.જેના કારણે તેમના ફેફસામાં વ્હીકલોના ધૂમાડા, વાતાવરણમાં ફેલાયેલા ધૂળના રજકણોના સ્વરુપે ઝેર જ જઈ રહ્યું છે.લાંબા ગાળે વડોદરામાં અસ્થમાના, ફેફસાના રોગોના, એલર્જીના દર્દીઓમાં વધારો થવાનો છે તે નિશ્ચિત છે.અત્યારે પણ ગળામાં, આંખમાં બળતરા, ઈન્ફેક્શનની ફરિયાદો સાથે સારવાર માટે આવતા દર્દીઓની સંખ્યા નોંધપાત્ર છે.