Get The App

ગોધરામાં રાયોટિંગ કેસના આરોપી ઝાકીર ઝભ્ભાના ઘરે પોલીસ તપાસ છતાં ન મળ્યો મોબાઈલ, શું પુરાવાનો નાશ કરાયો?

Updated: Apr 14th, 2026

GS TEAM

Google News
Google News
ગોધરામાં રાયોટિંગ કેસના આરોપી ઝાકીર ઝભ્ભાના ઘરે પોલીસ તપાસ છતાં ન મળ્યો મોબાઈલ, શું પુરાવાનો નાશ કરાયો? 1 - image


Panchmahal News: પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના ચકચારી રાયોટિંગ કેસમાં દસ દિવસના પોલીસ રિમાન્ડ હેઠળ રહેલા મુખ્ય સૂત્રધાર ઝાકીર ઝભ્ભાને સાથે રાખીને આજે બી-ડિવિઝન પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જો કે તપાસની મુખ્ય કડી સમાન તેનો મોબાઈલ ફોન ઘરેથી ન મળી આવતા પોલીસ તપાસમાં નવો વળાંક આવ્યો છે.

ભિવંડીથી વેશપલટો કરીને કરાઈ હતી ધરપકડ

ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બર 2025માં ગોધરા શહેર 'બી' ડિવિઝન પોલીસ મથકે તોડફોડની ઘટનામાં સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ઝાકીર ઝભ્ભા મુખ્ય આરોપી હતો. છેલ્લા છ મહિનાથી પોલીસને થાપ આપી રહેલો ઝાકીર મહારાષ્ટ્રના ભિવંડીમાં છુપાયો હોવાની બાતમી મળતા પંચમહાલ SOGની ટીમે ફિલ્મી ઢબે વેશપલટો કરી તેને 'હોટલ અના સાગર'માંથી દબોચી લીધો હતો. 8 એપ્રિલના રોજ કોર્ટે તેના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

ગોધરામાં રાયોટિંગ કેસના આરોપી ઝાકીર ઝભ્ભાના ઘરે પોલીસ તપાસ છતાં ન મળ્યો મોબાઈલ, શું પુરાવાનો નાશ કરાયો? 2 - image

પોલીસે ફૂટ પેટ્રોલિંગ કરી તપાસ કરી, લોકોના ટોળા ઉમટ્યા

રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં ઝાકીરે દાવો કર્યો હતો કે તેનો મોબાઈલ ફોન તે ઘરે મૂકીને ભાગી ગયો હતો. આ કબૂલાત બાદ આજે બી-ડિવિઝન પોલીસ કાફલો તેને લઈને વાલી ફળિયા નંબર-૩ સ્થિત તેના નિવાસસ્થાને પહોંચ્યો હતો. પોલીસ મથકેથી તેના ઘર સુધી આરોપીને ચાલીને લઈ જવામાં આવ્યો હતો, મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્ર થયા હતા.

આ પણ વાંચો: વાહન ચાલકો સાવધાન: આવતીકાલથી ટોલ ટેક્સના નિયમમાં ફેરફાર, જાણો સરકારની નવી ગાઈડલાઈન

મોબાઈલ ગાયબ, પુરાવાનો નાશ કરાયાની શંકા?

પોલીસ દ્વારા ઝાકીરના ઘરે પંચોની હાજરીમાં સર્ચ ઓપરેશન અને ઝડતી પંચનામું કરવામાં આવ્યું હતું. પોલીસની પ્રાથમિક ધારણા હતી કે મોબાઈલ ફોનમાંથી આ રાયોટિંગ કેસ અને તેને સંલગ્ન અન્ય કડીઓ મળી શકે તેમ છે. પરંતુ, તપાસના અંતે ઝાકીરના નિવાસસ્થાનેથી કોઈ મોબાઈલ મળી આવ્યો નથી.  હાલમાં ગોધરા પોલીસ આ દિશામાં વધુ સઘન તપાસ ચલાવી રહી છે. રાયોટિંગ કેસના મૂળ સુધી પહોંચવા માટે પોલીસ માટે આ મોબાઈલ ફોન મેળવવો એક મોટો પડકાર બની રહ્યો છે.