Get The App

પાયોનિયર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના આપઘાત પ્રયાસના કેસમાં ૧૦૦થી વધુ સાક્ષીઓની પુછપરછ

જાતિ વિષયક અપમાન અને અન્ય આક્ષેપોની દિશામાં પોલીસની તપાસ, સીસીટીવી ફૂટેજ તથા મોબાઈલફોનમાંથી પુરાવા એકત્ર કર્યા

Updated: Feb 16th, 2026

GS TEAM

Google News
Google News
પાયોનિયર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના આપઘાત પ્રયાસના કેસમાં ૧૦૦થી વધુ સાક્ષીઓની પુછપરછ 1 - image

પાયોનિયર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના આપઘાત પ્રયાસના કેસમાં પોલીસે ૧૦૦થી વધુ સાક્ષીઓની પુછપરછ કરી જરુરી પુરાવા એકત્ર કર્યા છે. તપાસમાં આપઘાત માટે દુઃત્પ્રેરણાની કોઈ હકિકત સામે આવશે તો તે દિશામાં પણ કાર્યવાહી થશે.

પાયોનિયર મેડિકલ કોલેજમાં બી.એ.એમ.એસ.ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા ૧૯ વર્ષના વિદ્યાર્થીએ બે પ્રોફેસર દ્વારા જાહેરમાં જાતિ વિરોધી ઉચ્ચારણના આક્ષેપ સાથે ત્રીજા માળેથી છલાંગ લગાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ વિદ્યાર્થી જુનાગઢની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

ફરિયાદ મુજબ, બે પ્રોફેસરોએ જાતિ આધારિત દ્વેષભાવ રાખી તેને વારંવાર પરેશાન કર્યો હતો તેમજ જનરલ બુકમાં સહી ન કરી તેના કરિયરને ભગાડવાની ચીમકી આપી હતી. જેથી વિદ્યાર્થીએ આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું છે. વિદ્યાર્થીના કાકાની ફરિયાદના આધારે કપુરાઈ પોલીસે કોલેજના બે પ્રોફેસર સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.

તપાસ અધિકારી એ.સી.પી.સી.બી. સોલંકી (એસ.ટી./એસ.સી. સેલ) સહિતની ટીમ સાથે આજે કોલેજ ખાતે પહોંચી હતી અને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. પોલીસે કેસ સાથે સંકળાયેલા વ્યક્તિઓની પૂછપરછ શરૂ કરી છે તથા પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી છે.


હાજર થવા પોલીસની બંને પ્રોફેસરને નોટિસ

તપાસ અધિકારીએ જણાવ્યું હતું કે, ફરિયાદી અને વિદ્યાર્થી સાથે ટેલિફોનિક સંપર્ક કરી જરૂરી વિગતો મેળવી છે. કોલેજ ખાતે વિદ્યાર્થીના મિત્રો, અન્ય વિદ્યાર્થીઓ, શિક્ષકો સહિત ૧૦૦થી વધુ સાક્ષીઓની પૂછપરછ કરી હકિકત સપાટી પર લાવવાનો પ્રયાસ કર્યો છે. સીસીટીવી ફૂટેજ તથા મોબાઈલ ફોનમાંથી પણ પુરાવા એકત્ર કર્યા છે. આ કેસમાં બંને પ્રોફેસરને નિવેદન માટે હાજર થવા નોટિસ પાઠવી છે. જાતિવિષયક અપમાન અને અન્ય આક્ષેપોની દિશામાં તપાસ કરી રહ્યા છે.


કોલેજે કમિટી રચી, ત્રણ દિવસમાં લેખિત જવાબ માંગ્યો

કોલેજના પ્રિન્સિપાલ મીતાબેને જણાવ્યું હતું કે, ડો. કોમલ દેસાઈ અને ડો. ઋષિકેશ સામે વિદ્યાર્થીના વાલીના આરોપ અંગે તેમને ત્રણ દિવસમાં લેખિત ખુલાસો રજૂ કરવા સૂચના આપી છે. સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ માટે આંતરિક કમિટી રચવામાં આવી છે અને કમિટીને વિગતવાર રિપોર્ટ ત્રણ દિવસમાં સબમિટ કરવા જણાવાયું છે.