Gujarat

માંજલપુરના યુવાનના મોતના કિસ્સામાં દોઢ મહિના પછી માત્ર એક જ ધરપકડ

By GS TEAM
11 Feb 20262 mins read
માંજલપુરના યુવાનના મોતના કિસ્સામાં  દોઢ મહિના પછી માત્ર એક જ ધરપકડ

વડોદરા,માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્સ પાસે ૨૫ ફૂટ ઊંડી ગટરના ખાડામાં પડી જતા યુવાનના મોતના કિસ્સામાં હજી સુધી માત્ર એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે. આ કિસ્સામાં  હજી કોઇની પણ જવાબદારી સ્પષ્ટ થઇ શકી નથી.

માંજલપુર ગામ કબીર મંદિર પાછળ ગાયત્રીકૃપા સોસાયટીમાં રહેતા વિપુલસિંહ મોહનસિંહ ઝાલાના મોત અંગે તેમના પત્ની માધવીબા ઝાલાએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત ૨૬ મી ડિસેમ્બરે મારો અને મારી બહેનનો પરિવાર બાળકો સાથે માંજલપુર દરબાર  ચોકડી  સ્પોર્ટ્સ કોમ્પલેક્સ પાસે નાસ્તાની લારી પર જમવા માટે ગયા હતા. અમને ઉતારીને મારા પતિ ગાડી પાર્ક કરવા ગયા હતા. કોર્પોરેશનના પાણી વિભાગી ઓવર હેડ અને અન્ડર ગ્રાઉન્ડ ટાંકીના મુખ્ય ગેટ આગળ ગટરનું ઢાંકણુ ખુલ્લું હોઇ તેમાં પડી જતા મારા પતિનું મોત થયું હતું. જેમાં કામનો કોન્ટ્રાક્ટ રાખનાર કંપની ઇકોફેસિલિટીઝ મેનેજમેન્ટ સર્વિસીસના માલિકો, કર્મચારીઓને આરોપી દર્શાવવામાં આવ્યા હતા. પોલીસે કબજે કરેલા  દસ્તાવેજો અનુસાર, આ કામનું ઇન્સપેક્શન થર્ડ પાર્ટીને સોંપવામાં આવ્યું હતું.આ  કામનો કોન્ટ્રાક્ટ રાખનાર કંપનીના પ્રોપાઇટર ઉર્વી રાહુલકુમાર શર્મા (રહે. દર્શનમ હોમ્સ, નારાયણ ગાર્ડન પાસે, ગોત્રી)ને હાઇકોર્ટ સુધી આગોતરા જામીન નહીં મળતા તેઓ પોલીસ સમક્ષ  હાજર થતા પોલીસે એક સપ્તાહ અગાઉ જ તેમની ધરપકડ  કરી હતી. ઉલ્લેખનીય છે કે, આ કિસ્સામાં હજી અન્ય આરોપીઓ પોલીસની પહંોચથી દૂર છે. તેમજ આ સમગ્ર ઘટનામાં કોની જવાબદારી હતી. તે હજી સુધી સ્પષ્ટ થઇ શક્યું નથી. આ કામના સુપરવાઇઝર અને એન્જિનિયર પણ પોલીસની પહોંચથી દૂર છે.