Gujarat

જામનગર જિલ્લામાં છેલ્લા 48 કલાક દરમિયાન કોરોના અને મ્યુકોરમાઇકોસિસના એક-એક કેસ નોંધાયા

By GS Team
29 Nov 20211 min read
This article was originally published on 29 Nov 2021
જામનગર જિલ્લામાં છેલ્લા 48 કલાક દરમિયાન કોરોના અને મ્યુકોરમાઇકોસિસના એક-એક કેસ નોંધાયા

જામનગર, તા. 29 નવેમ્બર 2021 સોમવાર

જામનગર શહેર અને જિલ્લામાં ધીમે ધીમે કોરોના ના કેસો સામે આવતા જાય છે, અને હાલ જી.જી.હોસ્પિટલમાં આઠથી વધુ કોરોના ગ્રસ્ત દર્દીઓ કોરોનાની સારવાર મેળવી રહ્યા છે. ત્યારે છેલ્લા 48 કલાક દરમિયાન જામનગર જિલ્લામાં કોરોના ના મામલે રાહત રહ્યા પછી શનિવારે સાંજે જામનગર ગ્રામ્ય વિસ્તારમાં વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. જેથી લોકોએ સાવધાન રહેવું જરૂરી છે.

જોકે શહેરી વિસ્તારમાં કોઈ પોઝિટિવ કેસ નોંધાયા નથી. ઉપરાંત મ્યુકોર્માઇકોસિસની બીમારી પણ ધીમે ધીમે ફેલાતી જાય છે, અને વધુ એક દર્દીનો ઉમેરો થયો છે. જામનગરની સરકારી જી.જી હોસ્પિટલના ઈ.એન્ડ.ટી વિભાગમાં ફંગસની બીમારીના વધુ એક પુરુષ દર્દીને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. જેની આજે સર્જરી કરવામાં આવી રહી છે. સરકારી જી.જી હોસ્પિટલના ઇ.એન્ડ.ટી. વોર્ડમાં હાલ 13 વર્ષની એક બાળકી સહિત કુલ પાંચ દર્દીઓ  સારવાર મેળવી રહ્યા છે. જે તમામ હાલ ભય મુક્ત છે. અને તમામ દર્દીની સર્જરી કરી લેવામાં આવી છે.

જામનગર શહેરમાં છેલ્લા 48 કલાકથી એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી., એકમાત્ર જામનગર ગ્રામ્યમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયો હતો. જ્યારે અન્ય એક દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હાલ જી.જી.હોસ્પિટલ ના કોવિડ બિલ્ડિંગમાં આઠથી વધુ દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે. જેમાં બે દર્દીઓને ઓક્સિજન ની મદદથી સારવાર આપવામાં આવી રહી છે.