Gujarat

શિવરાત્રીના દિવસે સુરત બન્યું શિવમય

By GS Team
1 Mar 20222 mins read
This article was originally published on 1 Mar 2022
શિવરાત્રીના દિવસે સુરત બન્યું શિવમય

- સુરત શહેર અને જિલ્લાના મંદિરો બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા

- શિવ મંદિરોમાં વહેલી સવારથી જ પૂજા અર્ચના સાથે શિવભક્તોએ કરી અનેક આરાધના વડિલો સાથે મંદિરોમાં યંગસ્ટર્સ પણ વધુ દેખાય

પ્રતિનિધિ દ્વારા, સુરત,મંગળવાર

આજે મહાશિવરાત્રીના દિવસે સુરત શહેર અને જિલ્લાના મંદિરોમાં શિવ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. મંદિરમાં બમ બમ ભોલેના નાદથી વાતાવરણ શિવમય બની ગયું હતું. આ વર્ષે મહાશિવરાત્રીનો  તહેવાર માં મંદિરમાં વડિલો સાથે સાથે યંગસ્ટર્સની સંખ્યા પણ નોંધપાત્ર જોવા મળી હતી. વહેલી સવારથી મંદિરમાં પુજા અર્ચના સાથે વિવિધ પ્રકારના હવન કરવામાં આવ્યા હતા. શિવમય બનેલા શિવ ભક્તોએ જુદી જુદી રીતે ભોળાનાથની આરાધના કરી હતી.

સુરતમાં આજે શિવરાત્રી ની ઉજવણી થાય તે પહેલાં જ મંદિરોને લાઈટિંગથી શણગારી દેવામાં આવ્યા હતા.  સુરત સહિત સમગ્ર રાજ્યમાં માસ્ક સિવાય  કોરોનાના નિયમોનો પ્રતિબંધ હટી ગયો છે. ત્યાર પછી પહેલો તહેવાર શિવરાત્રીનો આવ્યો હોય ભક્તોમાં આ તહેવારની ઉજવણીમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આજે વહેલી સવારથી જ શહેર-જિલ્લાના શિવ મંદિરોમાં ભક્તોની લાંબી લાઈન શરૂ થઈ ગઈ હતી. 


સુરત શહેર અને જિલ્લામાં અનેક પૌરાણિક શિવ મંદિરો આવેલા છે આજના દિવસે આ મંદિરોનું મહત્વ ભક્તો માટે અનેકગણું વધી જાય છે. આ મંદિરમાં ધજા રોહણ, વિવિધ પ્રકારના યજ્ઞ અને શ્લોક, સ્તુતિ ઉપરાંત વિવિધ પ્રકારના પાઠ શરૂ થઈ ગયા હતા. અનેક શિવ મંદિરોમાં ચાર પ્રહરની પુજાવિધિ કરવામા આવી હતી તેમાં બ્રાહ્મણ સાથે અન્ય લોકો પણ જોડાયા હતા. 


 શિવ મંદિરોમાં વહેલી સવારથી શરૃ થયેલા ધાર્મિક  કાર્યક્રમ, અને પૂજા સાથે મોડી રાત્રીએ ભજન પણ રાખવામાં આવ્યા હતા. હાલમાં કર્ફ્યુ પણ હટાવી દેવામાં આવ્યો હોવાથી શિવ  ભક્તો મન મુકીને શિવરાત્રીની ઉજવણી કરવા માટે મંડી પડ્યા છે.  આ વખતે શિવરાત્રીમાં વડીલોની સાથે સાથે યંગસ્ટર્સ ભગવાન શિવની આરાધના શ્રધ્ધાપૂર્વક કરતાં જોવા મળ્યા હતા.