Get The App

જામનગર જિલ્લા ધ્રોલની ગણેશ સ્કૂલમાં નર્સિંગની વિદ્યાર્થીનીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

Updated: Jun 12th, 2026

GS TEAM

Google News
Google News
જામનગર જિલ્લા ધ્રોલની ગણેશ સ્કૂલમાં નર્સિંગની વિદ્યાર્થીનીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું 1 - image

Jamnagar : ધ્રોલની ભાગોળે ખારવા રોડ પર આવેલી ગણેશ સ્કૂલમાં નર્સિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીએ પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં વિદ્યાર્થી આલમમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાથમિક માહિતી મુજબ અરવલ્લી જિલ્લાના ધાનપુર તાલુકાના કાકડખીલા ગામની રહેવાસી અને હાલ ધ્રોલ ખાતે ગણેશ સ્કૂલમાં નર્સિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતી 19 વર્ષીય પ્રજ્ઞા બાબુભાઈ પરમારે ગુરુવારે બપોરે જમ્યા બાદ પોતાના રૂમમાં જઈ ચુંદડી વડે પંખા સાથે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ થતાં સ્કૂલ સંચાલકો અને અન્ય વિદ્યાર્થીઓમાં દોડધામ મચી ગઈ હતી. બાદમાં સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ નર્સિંગ અભ્યાસક્રમનું વેકેશન પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીની બુધવારે સાંજે જ હોસ્ટેલ ખાતે પરત ફરી હતી. જોકે બીજા જ દિવસે બપોરના સમયે તેણે આ અંતિમ પગલું ભરતા અનેક પ્રશ્નો ઉભા થયા છે. વિદ્યાર્થીનીએ કયા કારણોસર આત્મહત્યા કરી તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. પોલીસે આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂ કરી છે. બનાવની જાણ મૃતકના પરિવારજનોને કરવામાં આવતા તેઓ પણ ધ્રોલ આવી પહોંચ્યા છે. આ દુઃખદ ઘટનાના પગલે ગણેશ સ્કૂલના વિદ્યાર્થીગણ તેમજ સમગ્ર ધ્રોલ પંથકમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. પોલીસ દ્વારા તમામ પાસાઓને ધ્યાનમાં રાખી તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.