ધાર્મિક લાગણી દુભાવવાના ગુનામાં છૂટકારો થતાં
ખંડણીના કેસમાં કીર્તિની સાથીદાર દિવ્યા એક દિવસના રિમાન્ડ પર, ફરજમાં રૂકાવટની તપાસ ભવનાથને બદલે તાલુકા પોલીસને
ચર્ચાસ્પદ બનેલા કીર્તિ પટેલના કેસમાં રોજ નવા-નવા વળાંક આવી રહ્યા છે. પોલીસ દ્વારા તેની પટેલ સામે ત્રણ ગુના દાખલ કરવામાં આવ્યા હતા. ખંડણી માંગવાના તથા બળાત્કારના ખોટા કેસમાં ફીટ કરી દેવાની ધમકીના ગુનામાં કીર્તિ પટેલ, તેની સાથીદાર દિવ્યા સાવલાણી સહિતનાઓ પર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. આ ગુનામાં ગઈકાલે કીર્તિ પટેલને જામીન મળ્યા બાદ આજે દિવ્યાની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે તેના ત્રણ દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજુ કરતા બંને પક્ષોની દલીલ સાંભળી કોર્ટ દ્વારા આવતીકાલે બપોરના ૪ વાગ્યા સુધી રિમાન્ડ આપવામાં આવ્યા છે.
જ્યારે પ્રભાસ-પાટણના નિરાલી ખોડીયાર આશ્રમના મહંતે મૃગીકુંડમાં કીર્તિ પટેલે સ્નાન કરવાથી ધાર્મિક લાગણી દુભાવવાની ફરિયાદ કરી હતી તે ગુનામાં ભવનાથ પોલીસ દ્વારા કીર્તિ પટેલને નોટિસ આપવામાં આવી હતી. આજે પોલીસે આ ગુનામાં તેનું નિવેદન લઈ તેને જામીન મુક્ત કરી છે. જ્યારે ફરીવાર આજે કીર્તિ પટેલને પોલીસે પીઆઈની ફરજમાં રૂકાવટના ગુનામાં હાજર થવા નોટિસ ફટકારી છે. આવતીકાલે ફરજ રૂકાવટના ગુનાના કામે જૂનાગઢ તાલુકા પોલીસ સમક્ષ હાજર થવા ફરમાન કરાયું છે. ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરજ રૂકાવટના ગુનાની તપાસ ભવનાથ પીઆઈને બદલે એસપી દ્વારા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ ગગનીયાને સોંપવામાં આવી છે. જેથી કીર્તિ પટેલે ફરજ રૂકાવટના ગુનાના કામે તાલુકા પોલીસ સ્ટેશનમાં હાજર થવાનું છે. આમ, ચર્ચાસ્પદ બનેલા કેસમાં રોજબરોજ તેણે અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં ધક્કા ખાવાનો વારો આવ્યો છે.


