Gujarat

વડોદરા: ખંડેરાવ માર્કેટમાં વેપારીઓની બેદરકારીના પગલે આડેધડ વાહનો પાર્ક કરતા રસ્તો બંધ

By GS Team
29 Oct 20212 mins read
This article was originally published on 29 Oct 2021
વડોદરા: ખંડેરાવ માર્કેટમાં વેપારીઓની બેદરકારીના પગલે આડેધડ વાહનો પાર્ક કરતા રસ્તો બંધ

વડોદરા,તા.29 ઓક્ટોબર 2021,શુક્રવાર

સ્માર્ટ સિટીની ગુલબાંગો પોકારતું વડોદરા મહાનગર પાલિકાનું તંત્ર પાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ફરતેના દબાણો અને ગંદકી દૂર કરવામાં નિષ્ફળ નિવડયુ છે. પાલિકાના પાપે સ્થાનિક રહીશો વર્ષોથી હાલાકીનો સામનો કરી રહ્યા છે. પરંતુ નીતિ-નિયમો નેવે મૂકી વેપાર કરતા વેપારીઓ સામે પાલિકા વહીવટના જોરે આંખ આડા કાન કરી રહ્યું છે.

વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સિટી હેઠળ તથા સ્વચ્છતાના નામે કરોડો રૂપિયાના પ્રોજેક્ટની લહાણી કરવામાં આવી છે. પરંતુ વડોદરા શહેરમાં હજુ પણ ટ્રાફિક અને ગંદકીની સમસ્યા યથાવત છે. જેથી તેમ કહી શકાય કે નાગરિકોની પરસેવાની કમાણીના કરોડો રૂપિયા પાણીમાં ગયા છે. આજે પણ વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટ ફરતે ગંદકી અને ટ્રાફિકની સમસ્યા યથાવત છે. જેનું એક માત્ર કારણ વેપારીઓની બેદરકારી હોવાનું ફલિત થાય છે. માર્કેટની આસપાસ મુખ્ય માર્ગ ઉપર પથારો લગાવી વેપાર કરતા વેપારીઓ ગંદકી અને ટ્રાફિકજામની સમસ્યાને નોતરું આપે છે. જ્યારે ફ્રુટબજારમાં ભારદારી વાહનોના આડેધડ પાર્કિંગ રસ્તો બ્લોક કરી રખડતા ઢોર ઢાંખર અને ફ્રુટનો કચરો મુખ્ય માર્ગ ઉપર ગંદકી ફેલાવે છે. પરિણામે વર્ષોથી વસવાટ કરતાં સ્થાનિક રહીશો હાલાકીનો સામનો કરી રહ્યા છે. તો બીજી તરફ ત્યાંથી પસાર થતાં રાહદારીઓ તથા વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પરંતુ માત્ર ચોપડા પૂરતી સ્માર્ટ સિટી કામગીરી દર્શાવી વાહ વાહ ની ગુલબાંગો પોકારતું પાલિકા ઠોસ કાર્યવાહી કરવા સક્ષમ નથી તેવું વર્ષોની આ હાલાકી પરથી લાગી રહ્યું છે. ખંડેરાવ માર્કેટ વેપારીઓ માટે ગાયકવાડની દેન છે. ટ્રાફિક અને સ્વચ્છતા બાબતે વેપારીઓની ફરજ પણ અનિવાર્ય છે. પાલિકા દ્વારા હાથ ધરાયેલા સ્વચ્છતા અભિયાનનો પણ આ સ્થળે ભૂંસાળો વળી જાય છે અને ટ્રાફિકનું ભારણ વધતા આજદિન સુધી રસ્તો પણ ખુલ્લો કરવામાં આવ્યો નથી. આ અંગે સામાજિક અગ્રણી ફારૂકભાઇ સોનીએ કોર્પોરેશનના કમિશનરને પત્ર પાઠવી તંત્ર પાસે ન્યાયની અપેક્ષા સેવી છે.