Ahmedabad Crime News: અમદાવાદના નરોડા વિસ્તારમાં એક જ રાતમાં કથિત 'ભુવાજી'ના નામે છેતરપિંડી આચરતી ગેંગે તરખાટ મચાવ્યો છે. એક્ટિવા પર આવેલા બે ગઠિયાઓએ એક વૃદ્ધ અને એક મહિલાને મંદિરે જવાનું સરનામું પૂછવાના બહાને વાતોમાં ભોળવ્યા હતા. 'ભુવાજી તમારી બધી તકલીફો દૂર કરી દેશે' તેમ કહી આ શખ્સો બંને પીડિતો પાસેથી કુલ રૂપિયા 1.07 લાખના સોનાના દાગીના પડાવીને ફરાર થઈ ગયા હતા. આ અંગે નરોડા પોલીસે બે અલગ-અલગ ગુના નોંધીને સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રથમ ઘટનામાં વૃદ્ધ સાથે રૂપિયા 90 હજારની છેતરપિંડી
નરોડાના હંસપુરા રોડ પર રહેતા એક વૃદ્ધે નરોડા પોલીસ સ્ટેશનમાં બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ 5 એપ્રિલ 2026ની રાત્રે ફરિયાદી તેમના મિત્રો સાથે ચાલવા નીકળ્યા હતા. આ દરમિયાન હંસપુરા પાસે આવેલ પ્રતિષ્ઠા આઇકોન નજીક એક્ટિવા પર બે અજાણ્યા શખ્સો આવ્યા હતા અને ખોડિયાર માતાના મંદિરે જવાનો રસ્તો પૂછ્યો હતો. ત્યારબાદ, 'અમારા ભુવાજી તમારી બધી તકલીફો દૂર કરી દેશે' તેમ કહી વિશ્વાસ જીતવા માટે તેઓએ વૃદ્ધના મિત્રોની ઘડિયાળ તથા વીંટીઓ લીધી અને થોડી વારમાં પરત આપી દીધી હતી. આ પછી ગઠિયાઓએ વૃદ્ધને વાતોમાં ભોળવી તેમના હાથમાં પહેરેલી રૂપિયા 90 હજારની કિંમતની બે સોનાની વીંટીઓ કઢાવી લીધી હતી અને ત્યાંથી રફુચક્કર થઈ ગયા હતા.
બીજી ઘટનામાં મહિલાના કાનની સોનાની બુટ્ટીઓ આંચકી ગયા
બીજા બનાવમાં નાના ચિલોડા પાસે રહેતી એક મહિલાએ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 5 એપ્રિલ 2026ના રોજ આ મહિલા તેમના પાડોશી મહિલા સાથે ઘર પાસે બેઠા હતા, ત્યારે એક્ટિવા સવાર બે શખ્સો ત્યાં આવ્યા હતા. તેઓએ ખોડિયાર માતાના મંદિરનો રસ્તો પૂછવાના બહાને વાતચીત શરૂ કરી હતી અને 'અમારી સાથે પાછળ ભુવાજી બેઠા છે' તેમ કહ્યું હતું. ગઠિયાઓએ પહેલા પાડોશી મહિલાને વિશ્વાસમાં લઈ તેમની કાનની બુટ્ટીઓ કઢાવી લીધી અને થોડે દૂર જઈ પરત આપીને વિશ્વાસ કેળવ્યો હતો. ત્યારબાદ ફરિયાદી મહિલાને 'તમારા ઘરમાં ખૂબ તકલીફ છે અને અમે તે દૂર કરી દઈશું' તેમ કહી, તેમની પાસેથી 4 ગ્રામ વજનની (કિંમત આશરે રૂા. 17 હજાર) સોનાની કાનની બુટ્ટીઓ કઢાવીને ભાગી ગયા હતા.


