- ભાવનગરમાં રખડતા ઢોરનો ત્રાસ વધતા લોકોની મૂશ્કેલી વધી
- શાકમાર્કેટ, ઘોઘા જકાતનાકા, હલુરીયા ચોક, ભરતનગર, સરદારનગર સહિતના કેટલાક વિસ્તારમાં રખડતા ઢોર અડીંગો જમાવી બેઠા હોય છે
ભાવનગર શહેરમાં રખડતા પકડવાની કામગીરી મહાપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે અને છેલ્લા ૧ર માસમાં એટલે કે, જાન્યુઆરીથી ર૬ ડિસેમ્બર-ર૦રપ સુધીમાં ૩,પ૭પ રખડતા ઢોર પકડયા હોવાનુ મહાપાલિકાના અધિકારીએ જણાવેલ છે. શહેરના શાકમાર્કેટ, ચિત્રા, ઘોઘા જકાતનાકા, હલુરીયા ચોક, ભરતનગર, સરદારનગર, સુભાષનગર, નારી, ક્રેસન્ટ, આનંદનગર, સિદસર સહિતના વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ જોવા મળતો હોય છે. ચોમાસાની ઋતુમાં રખડતા ઢોરનો ત્રાસ વધતો હોય છે, જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠતા હોય છે અને આ દિવસોમાં મહાપાલિકાએ સક્રીય રહેવુ પડતુ હોય છે. ચોમાસા બાદ કેટલાક વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ ઘટતો હોય છે પરંતુ કેટલાક વિસ્તારમાં દરરોજ રખડતા ઢોરનો ત્રાસ યથાવત હોય છે. કેટલાક વિસ્તારમાં રખડતા ઢોર રોડ પર અડીંગો જમાવીને બઠા હોય છે અથવા ઉભા હોય છે તેથી વાહન ચાલકો તેમજ રાહદારીઓને પરેશાની થતી હોય છે.
શહેરના રોડ પર રખડતા ઢોરના કારણે અકસ્માત થતા હોય છે. ઢોર ઢીક મારવાના પગલે લોકોને ઈજા થતી હોય છે અને ભૂતકાળમાં કેટલાક લોકોના મૃત્યુ પણ થયા છે ત્યારે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. રખડતા ઢોરનો ત્રાસ ઘટાડવા માટે મહાપાલિકાએ પરિણામલક્ષી કામગીરી કરવી જરૂરી છે તેમ લોકમુખે ચર્ચાય રહ્યુ છે.
ઢોરના નિભાવ પાછળ વર્ષે રૂા. 9 કરોડથી વધુનો ખર્ચ
મહાપાલિકાના વેટરનરી ઓફીસર (પશુત્રાસ નિયંત્રણ)ને પુછતા તેઓએ જણાવ્યુ હતુ કે, મહાપાલિકા દ્વારા દરરોજ શહેરના જુદા જુદા વિસ્તારમાંથી રખડતા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવે છે. આ પશુઓનો નિભાવ ખર્ચ વાર્ષિક રૂા. ૮ કરોડથી વધુ છે, જેમાં ઘાસચારો, સાફ સફાઈ, દવા, ગૌશાળામાં મોકલવાનો ટ્રાન્સપોર્ટ ખર્ચ વગેરેનો સમાવેશ થાય છે. મહાપાલિકાએ પકડેલ પશુને છોડાવવાનો દંડ રૂા. ૩ હજાર ઉપરાંત ઢોર ડબ્બામાં રાખવાનો દરરોજનો ખર્ચ રૂા. ૧ હજાર લેવામાં આવે છે.


