Get The App

છોટા ઉદેપુર: બોડેલીમાં મિની વાવાઝોડાથી કેળનો પાક જમીનદોસ્ત, ખેડૂતોએ વળતર માંગ કરી

Updated: Jun 2nd, 2026

GS TEAM

Google News
Google News
છોટા ઉદેપુર: બોડેલીમાં મિની વાવાઝોડાથી કેળનો પાક જમીનદોસ્ત, ખેડૂતોએ વળતર માંગ કરી 1 - image


Banana Crop Damage In Chhota Udepur: ગુજરાતમાં બદલાયેલા હવામાનની સૌથી મોટી અને માઠી અસર હવે જગતના તાત પર જોવા મળી રહી છે. છોટા ઉદેપુર જિલ્લામાં મધરાત્રે વરસાદી માહોલ વચ્ચે ફૂંકાયેલા ભારે પવનના કારણે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખાસ કરીને બોડેલી તાલુકાના જબુગામ સહિતના આસપાસના વિસ્તારોમાં કેળના પાકને સૌથી વધુ ફટકો પડ્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે. વર્ષભરની મહેનત પળવારમાં બરબાદ થઈ જતાં ખેડૂતોમાં ભારે નિરાશા વ્યાપી ગઈ છે.

મોં સુધી આવેલો કોળિયો છીનવાયો!

મળતી માહિતી અનુસાર, મધરાત્રે અચાનક વાતાવરણ પલટાયું હતું અને તીવ્ર ગતિએ સુસવાટા મારતો પવન ફૂંકાયો હતો. આ મિની વાવાઝોડાનો સીધો ફટકો કેળના ખેતરો પર પડ્યો હતો. જબુગામ પંથકના અનેક ખેતરોમાં કેળના છોડ થડમાંથી જ તૂટીને જમીનદોસ્ત થઈ ગયા છે.

ખેડૂતોના જણાવ્યાનુસાર, કેળનો પાક એકદમ તૈયાર થવાના આરે હતો અને આગામી દિવસોમાં તેનું વેચાણ કરીને કમાણી કરવાની આશા હતી. કેટલાક ખેતરોમાં કેળાની લૂમ સાથેના આખેઆખા છોડ વચમાંથી બટકી ગયા છે, જેના કારણે હવે આ પાક કોઈ કામનો રહ્યો નથી. ચોમાસાની સિઝનની તો આ માત્ર શરૂઆત છે, ત્યાં જ કુદરતે આવો માર માર્યો છે. આ સ્થિતિ જોતા આગામી દિવસોને લઈને પણ જગતનો તાત ચિંતામાં ડૂબ્યો છે.

આ પણ વાંચો: ગાંધીનગર: રાજ્યમાં સાયબર ગુનેગારો ખેર નહીં, આજથી શરૂ થયું 'ઓપરેશન મ્યુલ હંટ 2.0'

તાત્કાલિક સર્વે કરી આર્થિક સહાય આપવા ઉઠી માંગ

ખેડૂતીની રાતભરની કાળી મજૂરી અને મોંઘા ભાવના ખાતર-બિયારણના ખર્ચે ઉછેરેલો પાક આંખના પલકારામાં નષ્ટ થઈ ગયો છે. આ કુદરતી આફત અમારા માટે મોટા આર્થિક સંકટ સમાન છે. 

હાલમાં જબુગામ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં નુકસાનગ્રસ્ત ખેતરોના દ્રશ્યો જોઈને ખેડૂતો આસુ સારી રહ્યા છે. આ પરિસ્થિતિને પગલે અસરગ્રસ્ત ખેડૂતોએ સરકાર સમક્ષ માગ કરી છે કે કૃષિ વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે આ વિસ્તારોમાં ટીમ મોકલીને સર્વે (નુકસાનનું મૂલ્યાંકન) કરવામાં આવે. તેમજ જે ખેડૂતો સંપૂર્ણ પાયમાલ થયા છે તેમને વહેલી તકે યોગ્ય પાક વળતર ચૂકવવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.