Gujarat

અમદાવાદમાં દૂધની ચોરી! બે દિવસમાં એક જ જગ્યાએથી દૂધના કેરેટ ચોરાતા FIR નોંધાઈ

By GS TEAM
2 May 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ શહેરમાં ઘરફોડ ચોરી અને લૂંટની ઘટનાઓ વચ્ચે હવે તસ્કરો હવે દૂધના કેરેટ પણ ચોરવા લાગ્યા છે. વસ્ત્રાપુર વિસ્તારમાં એનએફડી સર્કલ પાસે આવેલા એક બંગલોઝના મુખ્ય દરવાજેથી બે અલગ-અલગ દિવસોમાં દૂધના કેરેટની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. વહેલી સવારે દૂધનું વિતરણ શરૂ થાય તે પૂર્વે જ અજાણ્યા શખસો આશરે 8 હજારની કિંમતનું દૂધ અને કેરેટ ચોરી જતાં વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં દૂધની ચોરી! બે દિવસમાં એક જ જગ્યાએથી દૂધના કેરેટ ચોરાતા FIR નોંધાઈ

Milk Crates Theft In Ahmedabad: અમદાવાદ શહેરમાં ઘરફોડ ચોરી અને લૂંટની ઘટનાઓ વચ્ચે હવે તસ્કરો હવે દૂધના કેરેટ પણ ચોરવા લાગ્યા છે. વસ્ત્રાપુર વિસ્તારમાં એનએફડી સર્કલ પાસે આવેલા એક બંગલોઝના મુખ્ય દરવાજેથી બે અલગ-અલગ દિવસોમાં દૂધના કેરેટની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. વહેલી સવારે દૂધનું વિતરણ શરૂ થાય તે પૂર્વે જ અજાણ્યા શખસો આશરે 8 હજારની કિંમતનું દૂધ અને કેરેટ ચોરી જતાં વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

તસ્કરો હવે દૂધના કેરેટ પણ ચોરવા લાગ્યા

વસ્ત્રાપુર પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ, 53 વર્ષીય રમેશભાઈ પટેલ એનએફડી સર્કલ પાસે આવેલા અશ્નીમ બંગલોઝમાં સુપરવાઈઝર તરીકે કામ કરે છે અને આ સાથે દૂધના વેચાણનો વ્યવસાય પણ કરે છે. 28 એપ્રિલના રોજ વહેલી સવારે 5:30થી 5:45ના ટૂંકા ગાળામાં બંગલોઝના દરવાજે ઉતારવામાં આવેલા અમૂલ દૂધના 72 પેકેટ ભરેલા 3 કેરેટ કોઈ અજાણ્યા શખસો ઉઠાવી ગયા હતા.

બે દિવસ અગાઉ પણ દૂધની ચોરી થઈ હતી

માત્ર 28 તારીખ જ નહીં, પણ તેના બે દિવસ પહેલા એટલે કે 26 એપ્રિલના રોજ પણ આ જ સ્થળેથી ચોરી થઈ હતી. જેમાં રમેશભાઈના સાથીદાર દેવીસિંહ સિસોદિયાના દૂધના 3 કેરેટ પણ આજ રીતે વહેલી સવારે ગાયબ થયા હતા. આમ, બે દિવસમાં કુલ 6 કેરેટ અને તેમાં રહેલા દૂધના પેકેટ મળી કુલ રૂ. 7,884ની મત્તાની ચોરી થઈ છે.

આ પણ વાંચો: ભેળસેળિયા તત્ત્વો સામે તવાઈ: તરબૂચ, શેરડી અને કેરીનો રસ વેચનારાઓને ત્યાં આરોગ્ય વિભાગનું ચેકિંગ

CCTVના આધારે તપાસ તેજ

રમેશભાઈએ જ્યારે દૂધની ડિલિવરી આપનાર ડ્રાઈવર સાથે વાત કરી ત્યારે જાણવા મળ્યું કે દૂધનો પૂરેપૂરો જથ્થો ઉતારવામાં આવ્યો હતો. આસપાસ તપાસ કરવા છતાં કેરેટ ન મળતા આખરે પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. વસ્ત્રાપુર પોલીસે અજાણ્યા શખસો વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી આસપાસના CCTV ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે.