Get The App

મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે 'જગ વસંત' જહાજ ગુજરાત પહોંચ્યું, 16,000 મેટ્રિક ટન LPGનો જથ્થો

Updated: Mar 28th, 2026

GS TEAM

Google News
Google News
મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે 'જગ વસંત' જહાજ ગુજરાત પહોંચ્યું, 16,000 મેટ્રિક ટન LPGનો જથ્થો 1 - image


Jag Vasant LPG Vessel Docks At Gujarat : મિડલ ઈસ્ટમાં ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે વધી રહેલા ભીષણ યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાયેલી અસ્થિરતા વચ્ચે ભારત માટે એક અત્યંત આશાસ્પદ અને રાહતના સમાચાર સામે આવ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા સ્થિત વાડીનાર પોર્ટ પર એલ.પી.જી. (LPG) ગેસથી ભરેલું વિશાળ જહાજ ‘જગ વસંત’ સુરક્ષિત રીતે લાંગર્યું છે.

ઉર્જા સુરક્ષા માટે મહત્વનું

વૈશ્વિક સ્તરે યુદ્ધના કારણે ઈંધણ અને ગેસના સપ્લાય ચેઈન પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે, ત્યારે ‘જગ વસંત’ જહાજ અંદાજે 16,000 મેટ્રિક ટન એલ.પી.જી.નો જથ્થો લઈને ભારત પહોંચ્યું છે. આટલી મોટી માત્રામાં ગેસનો જથ્થો આવવાથી આગામી દિવસોમાં દેશમાં ઘરેલુ ગેસના પુરવઠામાં સ્થિરતા જળવાઈ રહેશે. નિષ્ણાતોના મતે, આ જથ્થાને કારણે નજીકના ભવિષ્યમાં ગેસની અછત સર્જાવાની શક્યતાઓ નહિવત બની ગઈ છે.

આ પણ વાંચો : સંકટ સમયની સાંકળ બન્યું ભારત: પડોશી દેશને 38,000 મેટ્રિક ટન ઈંધણનો જથ્થો પહોંચાડ્યો

ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે ગેસ ટ્રાન્સફર

મિડલ ઈસ્ટમાં તણાવપૂર્ણ માહોલ અને સમુદ્રી માર્ગો પર વધતા જોખમોને ધ્યાનમાં રાખીને, વાડીનાર પોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા અત્યંત સઘન કરી દેવામાં આવી છે. જહાજના આગમન સાથે જ મરીન પોલીસ અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર છે. હાલમાં અત્યંત તકેદારી અને નિર્ધારિત સુરક્ષા પ્રોટોકોલ હેઠળ જહાજમાંથી ગેસ ખાલી કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

વાડીનાર પોર્ટનું વ્યૂહાત્મક મહત્વ

વાડીનાર પોર્ટ ભારતની ઉર્જા સુરક્ષા માટે વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વનું કેન્દ્ર છે. પ્રતિકૂળ આંતરરાષ્ટ્રીય સંજોગો અને દરિયાઈ યુદ્ધની ધમકીઓ વચ્ચે પણ જગ વસંતનું સફળતાપૂર્વક ભારત પહોંચવું એ દેશની મજબૂત લોજિસ્ટિક્સ ક્ષમતા અને સુરક્ષા વ્યવસ્થાનો જીવંત પુરાવો છે. આ ઘટના સાબિત કરે છે કે ભારત વૈશ્વિક સંકટ સમયે પણ પોતાની ઉર્જા જરૂરિયાતો પૂરી કરવા માટે સક્ષમ છે. જ્યારે પાડોશી દેશો આર્થિક અને ઈંધણ સંકટનો સામનો કરી રહ્યા છે, ત્યારે ભારતની આ ઉપલબ્ધિ અર્થતંત્રને ગતિ આપનારી સાબિત થશે.