Get The App

મિચ્છામી દુકકડમ, આ સભા બરખાસ્ત કરાય છે,મેયર.... ઘણાં કોર્પોરેટરોની આંખો ભીની થઈ ફરી કોર્પોરેટર બનવા મળે -ના મળે

વિપક્ષનેતાએ ભાજપના શાસનના કૌભાંડ ગણાવ્યા, સ્ટેન્ડિંગ ચેરમેને કહ્યું, અંચાઈ ના કરો, સાંભળો ૧૬૦થી વધુ આવીશું

Updated: Feb 25th, 2026

GS TEAM

Google News
Google News
મિચ્છામી દુકકડમ, આ સભા બરખાસ્ત કરાય છે,મેયર.... ઘણાં કોર્પોરેટરોની આંખો ભીની થઈ ફરી કોર્પોરેટર બનવા મળે -ના મળે 1 - image

અમદાવાદ,મંગળવાર,24 ફેબ્રુ,2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વર્તમાન ટર્મની અંતિમ બોર્ડ બેઠકમાં ઘણાં કોર્પોરેટરોની આંખો ભીની થઈ ગઈ હતી.પાર્ટી ટિકીટ આપે કે ના આપે, ફરી કોર્પોરેટર બનવા મળે કે ના મળે.ભાજપના મહિલા કોર્પોરેટરો સેલ્ફી લેવામાં વ્યસ્ત જોવા મળ્યા હતા. વિપક્ષનેતાએ ઝીરો અવર્સમાં ભાજપ શાસનના કૌભાંડ ગણાવ્યા તો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ કહ્યુ, અંચાઈ ના કરો. હવે સાંભળો ૧૬૦થી વધુ આવીશુ.ભાજપની પોલીસી મુજબ, જે લોકોને હવે ટિકીટ મળવાની જ નથી તેવા કોર્પોરેટરો કોંગ્રેસના કોર્પોરેટરોને ભેટી પડયા હતા. અધ્યક્ષ સ્થાનેથી મેયર પ્રતિભા જૈને કહ્યુ, સૌને મારા મિચ્છામિ દુકકડમ. આજની આ સભા બરખાસ્ત કરવામા આવે છે.

વર્ષ-૨૦૨૧થી શરુ થયેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની વર્તમાન ટર્મની છેલ્લી બોર્ડ બેઠક હોવા છતાં ભાજપ કે કોંગ્રેસના કોર્પોરેટરોમાં જે પ્રમાણે પાંચ વર્ષની કામગીરી કર્યાનો સંતોષ હોવા જોઈએ.એ કયાંય જોવા ના મળ્યો. વિપક્ષનેતા શહેજાદખાન પઠાણે  છેલ્લા પાંચ વર્ષમા આગ લાગવાની ઘટનાઓના કારણે શહેરના અલગ અલગ વિસ્તારોમા કુલ રૃપિયા ૪૪૦ કરોડનુ મિલ્કત અને માલસામાનને નુકસાન થયુ હોવાની રજૂઆત કરી હતી. ફાયર વિભાગમાં બે વર્ષથી સ્નોરસ્કેલ વસાવવાની મંજૂરી સ્ટેન્ડિંગ કમિટીએ આપ્યા પછી પણ વસાવી શકાઈ નથી એવો આક્ષેપ કર્યો હતો. ઉપરાંત ફાયર વિભાગમાં ૩૧૬ જગ્યા ખાલી હોવા છતાં ભરાતી નથી. દરમિયાન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને આક્ષેપોનો જવાબ આપતા કહ્યુ, સ્નોરસ્કેલ વસાવવા ગ્લોબલ ટેન્ડર કરાયુ હતુ. આ પ્રકારે કરવામા આવતા ટેન્ડરોમાં ટેકનીકલ બાબતો જોવામા આવતી હોવાથી કયારેક સમય પણ લાગતો હોય છે. ફાયર વિભાગમાં થોડા મહિનાઓ પહેલા જ ચીફ ફાયર ઓફિસર સહિતની જગ્યાઓ ભરવામા આવી છે. પહેલી વખત અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ  માટે અલગ અલગ એડીશનલ ચીફ ફાયર ઓફિસરની નિમણૂંક કરવામા આવી છે.

પાંચ વર્ષના મોટા કૌભાંડ કયા-કયા?

-૪૦ કરોડના ખર્ચે બનાવાયેલ હાટકેશ્વરબ્રિજ તોડવો પડયો

-ટેકનીકલ સુપરવાઈઝરની ભરતીમાં કૌભાંડ

-ખારીકટ કેનાલ રી-ડેવલપમેન્ટ ડિઝાઈન બદલાઈ

-વી.એસ.હોસ્પિટલમાં કિલિનીકલ રીસર્ચ કૌભાંડ

-વટવામા નહીં ફળવાયેલા આવાસ તોડવા પડયા

-સાબરમતી નદીના પ્રદૂષણમા વધારો

-સ્મશાનમાં લાકડાનુ કૌભાંડ બહાર આવ્યુ

-કરોડોના ખર્ચે બનાવાયેલા રોડ તોડવા પડયા

-મલ્ટી લેવલ પાર્કિંગમાં કોઈ જગ્યા વેચાણથી લેવા તૈયાર નહીં

-એએમટીએસ,બીઆરટીએસ વધુ દેવાના ડુંગર હેઠળ દબાયા

૯ માર્ચ કોર્પોરેટરો માટે છેલ્લો દિવસ બનશે

૯ માર્ચ- ૨૦૨૬ મેયર સહિતના તમામ ૧૯૧ કોર્પોરેટરો માટે છેલ્લો દિવસ બની રહેશે.ભાજપ હોય કે કોંગ્રેસ આ ટર્મમા ઘણાં એવા કોર્પોરેટર જીતીને આવ્યા હતા.જે તેમના પોતાના વ્યકિતગત દેખાવ કે કામગીરી નહીં પરંતુ પાર્ટીના સિમ્બોલના કારણે જીત્યા હતા. આવા કોર્પોરેટરોને   તેમનો પક્ષ ટિકીટ આપવાનો નથી. આ પરિસ્થિતિમા તમામે અત્યારથી જ કોર્પોરેશનમાંથી તેમના બિસ્ત્રા-પોટલાં બાંધી ઘરે મોકલવાની શરુઆત કરી દીધી છે.