Gujarat

જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં રહેતી પરિણીતા મીણબત્તીની જાળે દાઝી ગયા પછી સારવારમાં મૃત્યુ

By GS Team
29 Oct 20212 mins read
This article was originally published on 29 Oct 2021
જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં રહેતી પરિણીતા મીણબત્તીની જાળે દાઝી ગયા પછી સારવારમાં મૃત્યુ

- દિવાળીના તોરણ બનાવતી વેળાએ રેશમની દોરી ચોંટાડવા માટે સળગાવેલી મીણબત્તી અગ્નિ અકસ્માતનું કારણ બની

જામનગર,તા. 29 ઓક્ટોબર 2021,શુક્રવાર

જામનગરના ગોકુલ નગર રડાર રોડ વિસ્તારમાં રહેતી એક પરિણીતા પોતાના ઘેર દિવાળીના તોરણ બનાવતી હતી, જે દરમિયાન મીણબત્તી રેશમના કપડાને અડી જતાં ગંભીર સ્વરૂપે દાઝી ગયા પછી તેણીનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયું છે.

આ અગ્નિ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગરના ગોકુલનગર રડાર રોડ વિસ્તારમાં રહેતી મનિષાબેન હિતેશભાઈ ડાભી નામની 30 વર્ષની યુવતી ગત 20મી તારીખે પોતાના ઘેર રેશમની દોરી સાથેનું તોરણ બનાવી રહી હતી, જે દરમિયાન રેશમની દોરી ચોંટાડવા માટે મીણબત્તીની જરૂરિયાત ઉભી થઇ હોવાથી મીણબત્તી પ્રગટાવીને બાજુમાં રાખી હતી.

ત્યાર પછી પોતે તોરણ બનાવતી હતી, દરમિયાન તેણે પહેરેલાં કપડાંનો છેડો મીણબત્તીને અડી જતાં તેણીએ પહેરેલાં કપડાં સળગવા લાગ્યા હતા. જેથી તેણી તૂરત જ ઘરની બહાર દોડી આવી હતી, અને પગલૂછણીયાની મદદથી સળગતા કપડા ઠારવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ રેશમી કપડું પહેરેલું હોવાથી ઝડપભેર સળગવાથી પોતે પણ હાથ-પગ તેમજ શરીરના અન્ય ભાગોમાં દાઝી ગઇ હતી, અને તેણીને તાબડતોબ સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં હતી. જ્યાં તેની તબિયત લથડતાં વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સાત દિવસની સારવાર પછી તેણીનું મૃત્યુ નીપજયું છે.

આ બનાવ અંગે મૃતકના પતિ હિતેષ કાનજીભાઈ ડાભીએ પોલીસને જાણ કરતાં સી ટી સી ડિવિઝન નો પોલીસ કાફલો અમદાવાદ દોડી ગયો હતો, અને મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતકના પતિ હિતેષભાઇ કે જેઓ કલ્યાણપુર તાલુકાના સુર્યાવદર ગામના વતની હોવાથી મૃતદેહને તેમના વતનમાં લઈ જવાયો છે, અને ત્યાં અંતિમવિધિ કરાઈ છે.

મૃતક મનિષાબેનની નાની પુત્રી ગાયત્રી(2 વર્ષ), કે જે ઘરમાં બાજુમાં જ સુતી હતી તેણીને બચાવવા માટે મનિષાબેન ઘરની બહાર દોડી ગઇ હતી. જેથી પુત્રીનો બચાવ થયો હતો. જે હાલ માતા વિહોણી બની ગઈ છે.