અમદાવાદ: સાસરિયાના ત્રાસથી કંટાળી પરિણીતાનો આપઘાત, પતિ અને સાસુ વિરુદ્ધ પોલીસ ફરિયાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News: અમદાવાદના વેજલપુર વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં સાસરિયાઓના સતત માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળીને એક પરિણીતાએ પોતાના પિયરમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. આ મામલે વેજલપુર પોલીસે મૃતક પરિણીતાના પતિ અને સાસુ સામે આપઘાત માટે મજબૂર કરવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
લગ્નના બે મહિનામાં જ શરૂ થયો ત્રાસ
મળતી માહિતી અનુસાર, વેજલપુરના શાંતિનાથ એપાર્ટમેન્ટમાં રહેતા કિશોરભાઈ માલવિયાની દીકરીના લગ્ન માર્ચ 2025માં ન્યૂ વાસણાના શ્રેયાંક ઠાકોર સાથે થયા હતા. લગ્નના માત્ર બે મહિના પછી જ સાસરિયાઓએ પોતાનું અસલી રૂપ બતાવવાનું શરૂ કર્યું હતું. બ્યુટીપાર્લરમાં કામ કરતી પરિણીતાનો આખો પગાર સાસરિયાઓ ઘરખર્ચમાં વાપરી નાખતા, જ્યારે પતિ પોતાની કમાણી શેરબજારમાં રોકતો હતો.
આ પણ વાંચો: અમદાવાદ-ગોધરા હાઈવે પર ગોઝારો અકસ્માત, રોંગ સાઈડમાં બેફામ કારની અડફેટે 3 યુવાનના મોત
પરિણીતા પર ગુજારવામાં આવતા અત્યાચાર
પરિણીતાના પિતાએ નોંધાવેલી ફરિયાદમાં સાસરિયાઓના ત્રાસની ચોંકાવનારી વિગતો સામે આવી છે, જેમાં નવું ટુ-વ્હીલર લેવા પિયરમાંથી 20,000 રૂપિયા લાવવા દબાણ કરાતું હતું. માસિક ધર્મના સમયે ઘર અભડાય નહીં તેવા બહાને સાસુ દર મહિને એક અઠવાડિયું તેને પિયર કાઢી મુકતા હતા. પતિને બળજબરીથી બુટ-મોજા પહેરાવવા અને થાકીને ઘરે આવે તો પણ આરામ ન કરવા દેવા જેવો માનસિક ત્રાસ અપાતો હતો. આ ઉપરાંત પરિણીતાએ પોતાની જૂની અલ્ટો કાર વેચતા આવેલા 50,000 રૂપિયા પતિને જોઈતા હતા, જે બાબતે સતત ઝઘડા થતા હતા.
અંતિમ ફોન કોલ અને આપઘાત
કાર વેચવાના પૈસા મુદ્દે થયેલા ઝઘડા બાદ પરિણીતા 20મી એપ્રિલના રોજ પિયર આવી ગઈ હતી. ગત 24મી એપ્રિલના રોજ જ્યારે તેના માતા-પિતા બહાર ગયા હતા, ત્યારે તેણે બેડરૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી આત્મહત્યા કરી લીધી હતી. આપઘાત પહેલાં પતિ શ્રેયાંક સાથે તેની 4 મિનિટ વાતચીત થઈ હતી અને વોટ્સએપ પર છૂટાછેડા અંગેની ચર્ચાઓ પણ થઈ હતી.
પરિણીતાના પિતાની ફરિયાદના આધારે વેજલપુર પોલીસે પતિ શ્રેયાંક અને સાસુ રેખાબેન વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. અગાઉ પણ પતિના અન્ય સંબંધોને લીધે છૂટાછેડાના કાગળો તૈયાર થયા હતા, પરંતુ તે સમયે સમાધાન થયું હતું. પોલીસે મોબાઈલ ચેટ અને કોલ ડિટેલ્સના આધારે વધુ પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી છે.









