Gujarat

ટેકસ વિભાગમાં અનેક જગ્યા ખાલી , અમદાવાદ પૂર્વમાં અરજદારોની અરજીઓનો સમયસર નિકાલ થતો ન હોવાની ફરિયાદ

By GS Team
27 Feb 20221 min read
This article was originally published on 27 Feb 2022
ટેકસ વિભાગમાં અનેક જગ્યા ખાલી , અમદાવાદ પૂર્વમાં અરજદારોની અરજીઓનો સમયસર નિકાલ થતો ન હોવાની ફરિયાદ

  અમદાવાદ,રવિવાર,27 ફેબ્રુ,2022

અમદાવાદ મ્યુનિ.ના ટેકસ વિભાગમાં મહત્વની અનેક જગ્યા ખાલી છે.પૂર્વના વિસ્તારોમાં કરદાતાઓ દ્વારા ટેકસને લઈ કરવામાં આવતી વિવિધ પ્રકારની અરજીઓનો સ્ટાફના અભાવે સમયસર નિકાલ ન થતો હોવાની ફરિયાદ વ્યાપક બનતી જાય છે.પેપરલેસ વહીવટી તંત્ર કરવાની વાત છતાં શહેરીજનોને ઓનલાઈન કામગીરી કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે.

તાજેતરમાં મ્યુનિ.બોર્ડ બેઠકમાં ગોમતીપુર વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર ઈકબાલ શેખે મ્યુનિ.ના ઉસ્માનપુરા ખાતે આવેલા ડેટા સેન્ટરમાં સર્જાયેલી ટેકનિકલ ખામીનો ઉલ્લેખ કરી પૂર્વ અમદાવાદના નાગરીકોને છ દિવસ સુધી ટેકસની રકમ ભરવા ઉપરાંત અન્ય વિવિધ ઓનલાઈન કામગીરી કરવા પડેલી મુશ્કેલી અંગે મેયર અને કમિશનરને રજુઆત કરી હતી.

ટેકસ વિભાગમાં હાલમાં પચાસ ટકા સ્ટાફથી કામગીરી કરવામાં આવી રહી છે.ટેકસના વોર્ડ ઈન્સપેકટરો ઉપરાંત ડિવીઝનલ સુપ્રિટેન્ડન્ટ, આસીસ્ટન્ટ મેનેજર સહિતની અનેક જગ્યા ખાલી છે.હાલ જે સ્ટાફ ફરજ બજાવે છે એમને તેમની મુળ કામગીરી ઉપરાંત અન્ય વધારાની પણ કામગીરી સોંપવામાં આવતી હોય છે.આ કારણથી અલગ અલગ વોર્ડમાં રહેતા નાગરિકો જયારે ટેકસ સંબંધી વાંધા અરજી કરતા હોય છે ત્યારે અરજદારો તરફથી કરવામાં આવતી વાંધા અરજીઓનો સમયસર નિકાલ થઈ શકતો નથી.મ્યુનિ.ના સોફટવેર મોડયુલમાં અનેક પ્રકારની ખામીઓ સર્જાતી હોવાથી પણ નાગરિકોને સહન કરવાની સ્થિતિ આવી પડતી હોય છે.સ્માર્ટસિટીની વાત કરવામાં આવતી હોય ત્યારે આ પ્રકારની ખામીઓ તાકીદે સુધારવા પણ કોર્પોરેટરે માંગણી કરી હતી.