Get The App

પ્રેમલગ્ન કરનાર યુવકની પત્નીનું સાસરીયા પક્ષ દ્વારા અપહરણ

Updated: Apr 17th, 2026

GS TEAM

Google News
Google News
પ્રેમલગ્ન કરનાર યુવકની પત્નીનું સાસરીયા પક્ષ દ્વારા અપહરણ 1 - image

રાજકોટ નજીકના વાછકપર બેડી ગામની ઘટના : યુવકે મોરબી રહેતા સાસરીયા પક્ષનાં સભ્યો વિરૂદ્ધ કુવાડવા રોડ પોલીસમાં ફરિયાદ નોંધાવી

રાજકોટ, : મૂળ મોરબીનાં અને હાલ રાજકોટ નજીકનાં બેડી ગામે રહી મોરબીમાં આવેલા પ્લાસ્ટિકનાં કારખાનામાં નોકરી કરતાં રોનીલ અમૃતભાઇ ચંદ્રાલા (ઉ.વ. 27)એ પ્રેમલગ્ન કર્યા હતા. જેમાં તકરાર થતાં તેના સાસરીયા પક્ષનાં સભ્યો તેની નજર સામે તેની પત્નીનું અપહરણ કરી ગયાની ફરિયાદ કુવાડવા રોડ પોલીસ મથકમાં નોંધાઇ છે. 

ફરિયાદમાં રોનીલે જણાવ્યું છે કે, છએક માસ પહેલાં મોરબીનાં હરી ઓમ પાર્કમાં રહેતી ઇશીતા કુકરવાડીયાના પરિચયમાં આવ્યા બાદ તેની સાથે પ્રેમ થઇ જતાં ગત ફેબ્રુઆરી માસમાં કુકાવાવ મોટી ગ્રામ પંચાયત ખાતે લગ્ન કરી લીધા હતા. ગઇ તા. 29 માર્ચના રોજ બંને મોરબીથી નીકળી વડોદરા, પાલનપુર, જયપુર અને ત્યાંથી દિલ્હી ગયા હતા. આ પછી ધ્રોલ પોલીસ મથકમાં ગઇ તા. 4ના રોજ લગ્નનું સર્ટીફિકેટ રજુ કરી નિવેદનો પણ લખાવ્યા હતા. 

ત્યાર પછી ગઇ તા. 7ના રોજ તેના ગામ વાછકપર બેડીમાં રહેવા આવી ગયા હતા. ગઇ તા. 13ના રોજ રાત્રે તે પરિવારનાં સભ્યો સાથે ઘરે હતો ત્યારે રાત્રે પોણા એકાદ વાગ્યે દરવાજો ખખડાવી 4 માણસો તેના ઘરમાં ઘુસી ગયા હતા. જેમાં તેની પત્નીનાં મોટા બાપુ કિશોર કુકરવાડીયા, તેનો પુત્ર જય, તેની પત્નીના મામાનો પુત્ર આકાશ ગામી અને પત્નીના ફઇનો દીકરો કુલદીપ ઘોડાસરા હતો. આ ચારેય સાથે અન્ય ચાર અજાણ્યા શખ્સો પણ હતાં. 

આવીને તમામે બેફામ ગાળો ભાંડવાનું શરૂ કર્યું હતું. તે વખતે તેની પત્નીએ તેને પકડી રાખતાં કિશોરે તેને કહ્યું કે, તું ઘરે આવી જા, નહીંતર તારા પતિને મારી નાંખીશું. આ પછી બીજા આરોપીઓએ તેને મારકુટ કર્યા બાદ તેની પત્નીને બળજબરીથી કારમાં બેસાડી લઇ ગયા હતા. અત્યાર સુધી સમાધાનની વાત ચાલુ હતી. પરંતુ તેની પત્નીને આજ સુધી નહીં મોકલતા આખરે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી રોનીલે જણાવ્યું કે, તેની અને પત્ની વચ્ચે ઉંમરનો તફાવત હોવાથી તેના સાસરીયાઓ આ લગ્ન સ્વીકારી રહ્યા નથી.