બગદાણા હુમલાના કેસમાં
ફરિયાદમાં જયરાજ આહીરનું નામ ઉમેરવું અને તપાસ આઇપીએસ અધિકારીને સોંપવા માંગ
વિરમગામ - બગદાણા હુમલાના કેસમાં વિરમગામમાં કોળી સમાજ દ્વારા મામલતદારને આવેદન અપાયું છે. ફરિયાદમાં જયરાજ આહીરનું નામ ઉમેરવું અને તપાસ આઇપીએસ અધિકારીને સોંપવા માંગ કરવામાં આવી છે.
બગદાણાના કોળી યુવાન નવનીતભાઈ પર થયેલા હુમલાના ઘેરા પડઘા સમગ્ર રાજ્યમાં પડયા છે. આજે નળકાંઠા કોળી યુવા સંગઠન અને વિરમગામ તાલુકા સમસ્ત કોળી સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સમાજની મુખ્ય માંગ છે કે આ ગુનાના મુખ્ય સૂત્રધાર જયરાજ આહીરનું નામ તાત્કાલિક એફઆઇઆરમાં ઉમેરવામાં આવે અને સમગ્ર કેસની તપાસ નિષ્પક્ષતાથી કરવા માટે આઈપીએસ (આઇપીએસ) અધિકારી નિલપ્ત રાયને સોંપવામાં આવે.
આવેદનપત્રમાં આક્ષેપ કરાયો છે કે બગદાણા પોલીસ દ્વારા આરોપીઓને છાવરવામાં આવી રહ્યા છે. ફરજમાં બેદરકારી દાખવવા બદલ સંબંધિત પીઆઈને પદમુક્ત કરવાની માંગણી સાથે નવનીતભાઈનું નવું નિવેદન લઈ કડક કલમો ઉમેરવા વિનંતી કરાઈ છે. જો પીડિતને વહેલી તકે ન્યાય નહીં મળે, તો કોળી સમાજ દ્વારા રાજ્યવ્યાપી આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.


