Karim Sipai Matrimonial Fraud Case: મેટ્રિમોનીયલ સાઇટ પર બનાવટી પ્રોફાઇલ બનાવીને કરીમે આદિત્ય પટેલ નામ ધારણ કરીને 100થી વધુ મહિલાઓને છેતરીને નાણાં પડાવ્યા હતા. તેની પ્રાથમિક પુછપરછમાં સામે આવ્યું છે કે, તે અમદાવાદ અને ગાંધીનગરમાં માર્કેટિંગની જોબમાં જતો હોવાનું કહીને તેના પરિવારને ગેરમાર્ગે દોરતો હતો. ખરેખરમાં તે તેના એક સંબંધીની કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે અથવા સામાન્યકર્મી તરીકે નોકરી કરતો હતો અને તેની પત્ની બીજાના ઘરકામ કરતી હતી. વર્ષ 2023માં તેણે જીવનસાથી નામની મેટ્રિમોનીયલ સાઇટ પર બનાવટી પ્રોફાઇલ બનાવી હતી. જેમાં બે મહિલાઓ તેની વાતોમાં ફસાઇ ગઇ હતી. ત્યારબાદ તેણે ચોક્કસ મોડ્સ ઓપરેન્ડીથી મહિલાઓને ટારગેટ કરવાની ગુનાખોરી આચરી હતી.
બે મહિલાઓને છેતર્યા બાદ ચોક્કસ પેટર્નથી ગુનાખોરી અપનાવી
કડીમાં રહેતા કરીમ સિપાઇએ જીવનસાથી નામની મેટ્રિમોનીયલ સાઇટ પર આદિત્ય પટેલના નામની બનાવટી પ્રોફાઇલ બનાવીને મહિલાઓને છત્રાલમાં આવેલી એક કંપનીના માલિક તરીકે ઓળખ આપીને લગ્નની લાલચ આપતો હતો અને મહિલાઓ સાથે દુષ્કર્મ આચરવાની સાથે બ્લેક મેઇલ કરીને અત્યાર સુધીમાં લાખો રૂપિયા પડાવ્યા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
સુત્રોના જણાવ્યા મુજબ, આરોપીએ વર્ષ 2023માં જીવનસાથી મેટ્રિમોનીયલ સાઇટ પર આદિત્ય પટેલના નામે પ્રોફાઇલ બનાવી હતી. ત્યારબાદ તેણે ગાંધીનગર અને અમદાવાદમાં રહેતી બે મહિલાઓની પ્રોફાઇલ ટારગેટ કરીને સંપર્ક કરીને લગ્ન કરવાની ખાતરી આપી હતી. જેમાં આરોપીએ પોતાની પત્નીનું કેન્સરમાં મોત થયું હોવાથી પુનઃ લગ્ન કરવાનું કહીને વિશ્વાસ કેળવીને અવારનવાર મળ્યા બાદ નાણાં મેળવ્યા હતા. સાથેસાથે પીડિત મહિલા સાથે શારિરીક સંબંધ બનાવ્યા હતા. આ ચોક્કસ પેટર્ન અપનાવીને કરીમે આદિત્ય બનીનેે તબક્કાવાર ચાર વર્ષ દરમિયાન આશરે 100 જેટલી મહિલાઓનો સંપર્ક કર્યો હતો અને તે પૈકી મોટાભાગની મહિલાઓ તેના ચૂંગલમાં ફસાઇ હતી. હાલ પોલીસને કુલ 20 મહિલાઓ અંગે ચોક્કસ માહિતી મળી છે અને તેમનો સંપર્ક કરીને તબક્કાવાર ફરિયાદ નોંધાઇ તે માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
બીજી તરફ, કરીમ સિપાઇ પહેલા છત્રાલ જીઆઇડીસીમાં નોકરી કરતો હોવાથી તેને ત્યાંની એક ફેક્ટરીની માલિકીની પ્રોફાઇલ બનાવી હતી. જ્યારે તે મહિલાઓને મળવા માટે જતો ત્યારે તે માર્કેટીંગના કામે અમદાવાદ ગાંધીનગર જતો હોવાનું કહીને ગેરમાર્ગે દોરતો હતો. આમ, પોલીસને પ્રાથમિક તપાસમાં કરીમ મહિલાઓનું શારિરીક અને આર્થિક શોષણ કરવાની માનસિકતા ધરાવતો હોવાનું જાણવા મળ્યું છે.


