Cholera Spread In Jamnagar: જામનગર શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોલેરાનો રોગચાળો બેકાબૂ બની રહ્યો છે. જી.જી. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ પૈકી આજે (12મી ફેબ્રુઆરી) વધુ 5 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગમાં ફફડાટ ફેલાયો છે. આ સાથે જ શહેરમાં કોલેરા પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા 20 પર પહોંચી ગઈ છે.
બેડી-ધરાનગર વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર
મળતી માહિતી અનુસાર, શહેરમાં રોગચાળો ફાટી નીકળતા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. બેડી-ધરાનગર-1 વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરી છેલ્લા 3 દિવસથી ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવી રહ્યો છે અને ક્લોરિન ટેબલેટનું વિતરણ કરાયું છે. દૂષિત પાણીની આશંકાએ શંકાસ્પદ જણાતા વધુ 3 નલ જોડાણ કાપી નાખવામાં આવ્યા છે. પાણીની મુખ્ય પાઈપલાઈન અને ભૂગર્ભ ગટરની સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે.
દર્દીઓનો આંકડો વધવાની ભીતિ
શરૂઆતમાં માત્ર 3 કેસ સામે આવ્યા હતા, ત્યારબાદ 12 અને હવે વધુ 5 કેસ નોંધાયા છે. જોકે, હજુ પણ 22 જેટલા શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેબમાં તપાસ હેઠળ છે. આ રિપોર્ટ આવ્યા બાદ પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં મોટો ઉછાળો આવી શકે છે તેવી શક્યતા સેવાઈ રહી છે.
તંત્રની બેદરકારી સામે રોષ
શહેરમાં એકાએક રોગચાળો ફાટી નીકળવા પાછળ તંત્રની સદંતર બેદરકારી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. દૂષિત પાણી અને ગંદકીના નિકાલમાં નિષ્ફળ રહેલા તંત્રને કારણે નિર્દોષ નાગરિકો હોસ્પિટલના બિછાને પહોંચ્યા છે.


