Jamnagar : જામનગરના સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં વ્યાજખોરી અને ધમકીનો ગંભીર બનાવ સામે આવ્યો છે. ફરિયાદી મુકેશભાઈ રાઘવજીભાઈ કણજારીયા નામના 55 વર્ષના એક વેપારીએ અશોક ઉર્ફે જાંબુ મુળજીભાઈ નંદા નામના વ્યાજખોર શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ વેપારીએ આરોપી પાસેથી રૂ.6.40 લાખ વ્યાજે લીધા હતા અને મુદલ સહિત અંદાજે રૂ.7.70 લાખની રકમ ચૂકવી દેવા છતાં આરોપીએ ફરિયાદીની સ્વિફ્ટ કાર પોતાના કબજામાં રાખી હતી. ઉપરાંત સિક્યુરિટી તરીકે લીધેલા કોરા ચેકનો દુરુપયોગ કરવાની ભીતિ ઉભી કરી કાર પરત ન આપી, ફોન પર ગાળો આપી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
પોલીસે વ્યાજખોરી અધિનિયમ તેમજ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલ વ્યાજખોર શખ્સ ભાગી છૂટ્યો હોવાથી તેની શોધખોળ ચલાવવા આવી રહી છે.


