Jamnagar News: જામનગરમાં સાતનાલા નજીક મહાદેવ નગર વિસ્તારમાં રહેતા એક ગઢવી પરિવારમાં ગઈકાલે (સાતમી જૂન) કરૂણાંતિકા સર્જાઇ હતી. ત્રણ વર્ષના માસુમ બાળકનું રમતાં રમતાં પાણીના ટાંકામાં પડી જતાં ડૂબી જવાથી મૃત્યુ નીપજયું હતું. જેને લઈને પરિવાર પર આભ તૂટી પડ્યો હતો.
વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો
જામનગરના સાત નાલા વિસ્તારમાં આવેલા મહાદેવનગર ખાતે રહેતા માયા સંધિયાનો ત્રણ વર્ષીય પુત્ર જયરાજ ઘરના ફળિયામાં રમતાં રમતાં પાણીના ટાંકામાં પડી ગયો હતો. બેશુદ્ધ બનતા બાળકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ હોસ્પિટલ ખાતે ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ દુઃખદ ઘટનાથી પરિવાર પર આભ ફાટી પડ્યું છે અને સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
આ ઘટના વાલીઓ માટે ચેતવણીરૂપ છે. બાળકો રમતા હોય ત્યારે પાણીના ટાંકા, કૂવા, ખાડા સહિતના જોખમી સ્થળો પાસે ખાસ તકેદારી રાખવાની જરૂર છે.


