Get The App

જગન્નાથજીની 148મી રથયાત્રા પરંપરાગત રીતે નીકળશે, પ્લેન ક્રેશ દુર્ઘટના બાદની અટકળોનો અંત

Updated: Jun 20th, 2025

GS TEAM


Google News
Google News
જગન્નાથજીની 148મી રથયાત્રા પરંપરાગત રીતે નીકળશે, પ્લેન ક્રેશ દુર્ઘટના બાદની અટકળોનો અંત 1 - image


Ahmedabad 148th Rathyatra: અમદાવાદમાં આગામી 27 જૂને એટલે કે અષાઢી બીજે યોજાનારી રથયાત્રાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. પ્લેન દુર્ઘટના બાદ અટકળો શરુ થઈ હતી કે પરંપરાગત રીતે રથયાત્રા યોજવામાં નહીં આવે. પરંતુ જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ નિવેદન આપ્યું હતું કે જગન્નાથજીની 148મી રથયાત્રા પરંપરાગત નીકળશે. જેના લીધે શરુ થયેલી તમામ અટકળોનો અંત આવી ગયો છે. ભગવાન જગન્નાથની આગામી 148મી વાર્ષિક રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ અપાઈ ગયો છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા દેશની સૌથી લાંબો રૂટ ધરાવતી યાત્રા છે. જેમાં લાખોની સંખ્યામાં લોકો નગરચર્યાએ આવતાં ભગવાનના દર્શન કરવા માટે ઉમટે છે. 

જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું હતું કે આગામી 148મી રથયાત્રા પરંપરાગત રીતે પોતાના રૂટ પરથી જ નીકળશે. હાલ ટ્રક અને ટેબ્લો અંગે સરકાર સાથે વાટાઘાટ ચાલી રહી છે. જે અંગે સરકાર સાથે ચર્ચા કરીને નિર્ણય લેવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 278 લોકોના મૃત્યુ થયા છે. ત્યારે આ વર્ષે અમદાવાદમાં યોજાનારી ભગવાન જગન્નાથની રથયાત્રા સાદગીપૂર્ણ રીતે કાઢવામાં આવે એવા અહેવાલ હતા. જ્યારે જગન્નાથ મંદિરના ટ્રસ્ટ્રી મહેન્દ્ર ઝા અને મંદિરના મહંત જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે જણાવ્યું હતું કે, 'દર વર્ષે જે રીતે પરંપરા મુજબ રથયાત્રા નીકળે છે તે પ્રમાણે તૈયારી કરવામાં આવી છે.’  

આ પણ વાંચો: અમદાવાદ રથયાત્રામાં દેશમાં પ્રથમવાર થશે AI ટેક્નોલોજીનો ઉપયોગ, ધક્કામુકી અને ભીડની હિલચાલ પર રખાશે નજર

હાલનો રથયાત્રાનો રૂટ આ પ્રમાણે છે

સવારે નિજ મંદિરેથી રથયાત્રાની શરુઆત થયા બાદ ખમાસા ગેટ, મ્યુનિસિપલ કચેરી, આસ્ટોડિયા ચકલા, રાયપુર, ખાડિયા ચાર રસ્તા, પાંચકુવા, કાલુપુર સર્કલ, ડૉ. આંબેડકર હોલ, સરસપુર ચાર રસ્તાથી વિરામ સ્થળે પહોંચે છે. અહીંયા થોડો સમય વિરામ લીધા પછી રથયાત્રીઓ જય જગન્નાથજીના ગગનભેદી નારાઓ સાથે આગળની પરિક્રમા શરૂ કરે છે. સરસપુર ચાર રસ્તાથી ડૉ. આંબેડકર હોલ, કાલપુર સર્કલ, જોર્ડન રોડ, દિલ્હી ચકલા, હલીમની ખડકી, શાહપુર દરવાજા, શાહપુર ચકલા, રંગીલા ચોકી, ઘીકાંટા રોડ, પાનકોરનાકા, ફુવારા, આર.સી. હાઇસ્કૂલ, માણેકચોક, ગોળલીમડા, દાણાપીઠ, ખમાસા થઈને ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિજ મંદિરે પરત ફરે છે.

1869થી અમદાવાદમાં રથયાત્રાની શરુઆત

અમદાવાદના જગન્નાથજી મંદિરમાં જગન્નાથપુરી મંદિરની જેમ તમામ પૂજા-વિધિઓ થતી હતી. 1869થી અમદાવાદમાં રથયાત્રા નિકળવાની શરુઆત થઈ હતી. ભરુચમાં રહેતા ખલાસ કોમના ભાઈઓ કે જેઓ નૃસિંહદાસજીના ભક્તો હતા તેમણે મોટાપાયા પર નીકળનારી રથયાત્રાની તૈયારીના પ્રારંભને લઈને નારિયેળના ઝાડના લાકડામાંથી ત્રણ રથ તૈયાર કરી અમદાવાદ પહોંચાડી દીધા હતા. પછી અષાઢ સુદ બીજના દિવસથી શરુ થયેલી આ પરંપરા અત્યાર સુધી અખંડ રહી છે એટલે ભગવાનના રથ ખેંચવાનું કાર્ય ખલાસ ભાઈઓ જ કરે છે.

Tags :