Get The App

ખેડૂતો-લોકો ડીઝલ વિના હેરાન, જ્યારે IPLના મહાતાયફાને લીલીઝંડી, સરકારની બે મોઢાની વાતો...!

Updated: May 27th, 2026

GS TEAM

Google News
Google News
IPL 2026 Final Ahmedabad controversy

IPL 2026 Final Ahmedabad controversy: વૈશ્વિક સ્તરે ખાડી યુદ્ધની ચિનગારીથી આખી દુનિયા ધ્રુજી રહી છે. એટલું જ નહીં, ઈંધણની અછતે આર્થિક વ્યવસ્થાની કમર ભાંગી નાંખી છે. નિષ્ણાતોને ડર છે કે, આગામી દિવસોમાં હજુ વિકટભરી પરિસ્થિતિ સર્જાશે. યુદ્ધની આડઅસરને લીધે વધતી મોંઘવારીથી ગુજરાતના સામાન્ય નાગરિકોના ખિસ્સા અને જીવતર પર સ્પષ્ટ અસર દેખાઈ રહી છે. પરંતુ જનતાની આ પીડા વચ્ચે શાસકોને જાણે દેખાતી નથી. એક તરફ, ગુજરાતનો અન્નદાતા ખેતીની સીઝનમાં ડીઝલ માટે આમથી તેમ ભટકી રહ્યો છે. તો શહેરોમાં વાહનચાલકો કાળઝાળ ગરમીમાં પેટ્રોલ પંપ પર લાંબી કતારોમાં ઊભા રહેવા મજબૂર બન્યાં છે. જનતાની આ તકલીફો વચ્ચે સરકારે પ્રજાના આંસુ લૂછવાને બદલે આઈપીએલની ફાઇનલ મેચની ચિંતા વધુ હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.

ગંભીર ઈંધણ કટોકટી વચ્ચે અમદાવાદમાં ક્રિકેટનો મહાતાયફો

આગામી દિવસોમાં ઈંધણની કટોકટી વધુ વિકટ બનવાના સ્પષ્ટ સંકેતો છે. આવી ગંભીર પરિસ્થિતિમાં સરકારે આપત્તિ વ્યવસ્થાપન કરવાને બદલે અમદાવાદમાં ક્રિકેટના આ મહાતાયફાને લીલીઝંડી આપી દેવાઈ છે. આ સપ્તાહે યોજાનારી ફાઇનલ મેચ જોવા માટે લાખોની મેદની ઉમટશે. વીઆઇપી કલ્ચર અને હજારો પ્રેક્ષકો સ્ટેડિયમ સુધી પહોંચવા માટે લાખો લીટર કિંમતી પેટ્રોલ-ડીઝલનો ધૂમાડો કરશે. પ્રશ્ન એ થાય છે કે જ્યારે સામાન્ય માણસને કટોકટીના સમયે ઈંધણ નથી મળી રહ્યું, ત્યારે આ મેગા ઇવેન્ટ માટે સંસાધનો ક્યાંથી ઉપલબ્ધ થઈ રહ્યા છે તે સમજાતું નથી.

કિસાન સંઘે કરી IPL રદ કરવાની માંગ, પણ સરકાર મૌન!

આઈપીએલની મેચ જોવા આવનારાં પ્રેક્ષકોને વિમાની ટિકિટના પણ બમણા ભાવ આપવા તૈયારી રાખવી પડશે. ટિકિટના અત્યારથી કાળાબજાર થઈ રહ્યાં છે. ઈંધણ અછત અને કારમી મોંઘવારી વચ્ચે જનતા પિસાઈ રહી છે, ત્યારે ભાજપની પાંખ ગણાતા કિસાનસંઘે પણ IPL રદ કરવા માંગ કરી હતી તેમ છતાય સરકારે આ દિશામાં વિચાર્યું નથી. 

આ પણ વાંચો: પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNGના ભાવમાં ભડકો, અદાણી ગેસે ફરી એકવાર 2 રૂપિયાનો વધારો ઝીંક્યો

મૂળભૂત મુદ્દાઓથી ધ્યાન ભટકાવવાનો સુનિયોજિત પ્રયાસ

રાજકીય વિશ્લેષકોના મતે, આ માત્ર એક ક્રિકેટ મેચ નથી પરંતુ સરકારની નાકામીઓ પર પડદો પાડવાનો સુનિયોજિત પ્રયાસ છે. મોંઘવારી, અછત અને વહીવટી નિષ્ફળતા જેવા મૂળભૂત મુદ્દાઓથી જનતાનું ધ્યાન ભટકવવા માટે મનોરંજનનું અફીણ પીરસવામાં આવી રહ્યું છે. શાસક પક્ષ પોતાની ખરડાતી પ્રતિષ્ઠા બચાવવા માટે ક્રિકેટના ચોગ્ગા-છગ્ગા પાછળ ગમ્ભીત કટોકટીને છુપાવવા માંગે છે. ભવીશ ધૂંધળું દેખાઈ રહ્યું છે અને જનતા મુશ્કેલીમાં છે, ત્યારે સરકાર આવા ભપકાદાર આયોજનથી દૂર રહીને વાસ્તવિક જમીની સમસ્યાઓ ઉકેલવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ તેવો લોકોનો સૂર ઉઠ્યો છે. જો સરકાર હજુ પણ નહીં જાગે, તો ક્રિકેટ તો ઉત્સવ પૂરો થતા જ જનતાનો આક્રોશ પિચ પર બાઉન્સર બનીને સરકાર સામે આવી શકે છે.