કોરોના વિસ્ફોટથી ચિંતિત વાલીઓની રજૂઆત, ધોરણ-1થી 5 ના વર્ગો બંધ કરો

- ઓનલાઇન-ઓફલાઇનનો વિકલ્પ હોવા છતા ઘણી સ્કૂલો ઓનલાઇન બંધ રાખતી હોવાથી બાળકોને સ્કૂલે મોકલવા પડે છે
સુરત
સ્કુલોમાં કોરોનાના કેસો વધવાની સાથે જ ચિંતિત વાલીઓએ આજે જિલ્લા શિક્ષણાધિકારીને ધોરણ 1 થી 5 ના વર્ગો બંધ કરીને પરિસ્થિતિ સામાન્ય નહીં થાય ત્યાં સુધી ચાલુ નહીં કરવા રજુઆત કરાઇ હતી. ગાઇડ લાઇનનું પાલન નહીં કરતી શાળાઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરાઇ હતી.
સુરત શહેર અને જિલ્લામાં કોરોનાના કેસો જે ઝડપથી વધી રહ્યા છે. જેમાં વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં કોરોનામાં સપડાઇ રહ્યા હોવાથી આજે વાલીઓ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને રજુઆત કરાઇ હતી કે સમ્રગ ગુજરાતમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. જે જોતા ધોરણ 1 થી 5 ના બાળકોની શાળાઓ ત્વરિત બંધ કરાઇ અને પરિસ્થિતિ સામાન્ય નહીં થાય ત્યાં સુધી ચાલુ નહીં કરવામાં આવે. સરકારની ગાઇડલાઇન મુજબ શાળાઓએ ઓફલાઇનની સાથે ઓનલાઇન પણ ચાલુ રાખવાનું જણાવ્યુ છે. છતા ઘણી શાળાઓ ઓનલાઇન શિક્ષણ બંધ રાખતી હોવાથી વાલીઓએ ફરજિયાત બાળકોને શાળાએ મોકલવા મજબુર થવુ પડે છે. આથી ઓનલાઇન ભણતર પણ ચાલુ રખાય. શાળાઓ દ્વારા જે પરીક્ષાઓ લેવાઇ રહી છે. તે પણ ઓનલાઇન કરી દેવામાં આવે.
ઘણી શાળાઓ ગાઇડલાઇનનું પાલન નહીં કરતી હોવાની ફરિયાદો ઉઠી છે. આથી આવી શાળાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઇ હતી.




