Jag Vikaram kandla News : પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ અને સમુદ્રી નાકાબંધીના ભય વચ્ચે ભારત માટે રાહતના સમાચાર આવ્યા છે. ભારતીય ધ્વજ ધરાવતું એલપીજી ટેન્કર 'જગ વિક્રમ' (Jag Vikram) 20 હજાર મેટ્રિક ટન રાંધણ ગેસ (LPG) લઈને આજે બુધવારે ગુજરાતના કંડલા પોર્ટ પર સુરક્ષિત રીતે પહોંચી ગયું છે.
સંઘર્ષવિરામનો મળ્યો લાભ
અમેરિકા અને ઈરાન વચ્ચે તાજેતરમાં થયેલા બે અઠવાડિયાના કામચલાઉ સંઘર્ષવિરામ બાદ હોર્મુઝની સામુદ્રધુની (Hormuz Strait) પસાર કરનાર આ પ્રથમ ભારતીય જહાજ છે. આ જહાજ શુક્રવાર રાતથી શનિવાર સવારની વચ્ચે અત્યંત સંવેદનશીલ ગણાતા આ સમુદ્રી માર્ગ પરથી પસાર થયું હતું અને ઓમાનની ખાડી થઈને ભારત તરફ આગળ વધ્યું હતું.
ભારત માટે કેમ મહત્વનું છે આ જહાજ?
ભારત પોતાની ઉર્જા જરૂરિયાતો માટે મોટાભાગે આયાત પર નિર્ભર છે. ભારત આશરે 88% કાચું તેલ, 50% કુદરતી ગેસ અને 60% LPG વિદેશથી મંગાવે છે. આ પુરવઠાનો મોટો હિસ્સો હોર્મુઝની સામુદ્રધુની દ્વારા આવે છે. યુદ્ધના કારણે આ માર્ગ પ્રભાવિત થતા ભારતમાં કોમર્શિયલ વપરાશકારો માટે એલપીજીના પુરવઠામાં કાપ મૂકવો પડ્યો હતો, જે હવે આ જહાજના આગમન સાથે પુનઃસ્થાપિત થવાની આશા છે.
હજુ પણ અનેક જહાજો અટવાયેલા
માર્ચ મહિનાની શરૂઆતથી અત્યાર સુધીમાં પર્સિયન ગલ્ફમાંથી બહાર નીકળનાર આ નવમું ભારતીય જહાજ છે. જોકે, હજુ પણ ભારતના આશરે 15 જેટલા જહાજો તે વિસ્તારમાં રોકાયેલા છે અને સુરક્ષિત રીતે બહાર નીકળવાની રાહ જોઈ રહ્યા છે. પશ્ચિમ એશિયામાં જ્યારે સંઘર્ષ શરૂ થયો ત્યારે તે વિસ્તારમાં કુલ 28 ભારતીય જહાજો હાજર હતા.


