Get The App

હવે બાકી આવકવેરા સામે રિફંડની રકમ સીધી જ એડજસ્ટ કરી લેવાશે

નવી જોગવાઈ પ્રમાણે ૨૦૨૧-૨૨ કે ૨૦૨૨-૨૩ના વર્ષની ડિમાન્ડને એડજસ્ટ કરવી મુશ્કેલ બની જતી હતી

બજેટ પસાર કરાવતી વખતે સુધારો કરવામાં આવ્યો , એપ્રિલથી અમલ શરૂ

Updated: Apr 29th, 2026

GS TEAM

Google News
Google News
હવે બાકી આવકવેરા સામે રિફંડની રકમ સીધી જ એડજસ્ટ કરી લેવાશે 1 - image

જૂના વર્ષના રિફંડને એડજસ્ટ કરવામં તકલીફ પડતી હોવાથી છેલ્લી ઘડીએ નવા સુધારા કર્યા

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,બુધવાર

નવા ફાઈનાન્સ એક્ટ ૨૦૨૬માં કરવામાં આવેલી નવી જોગવાઈને પરિણામે કરદાતાના બાકી વેરાની રકમ સામે રિફંડની રકમ સીધી એડજસ્ટ જ કરી લેવામાં આવશે. આમ સરકારે બાકી વેરો ભરાય તેની રાહ જોવી પડશે નહિ અને રિફંડની રકમ પરત ખાતામાં જમા કરાવનાની જફામાંથી આવકવેરા કચેરીને મુક્તિ મળી જશે. નવા ઇન્કમટેક્સ એક્ટ ૨૦૨૫ હેઠળ આ જોગવાઈ દાખલ કરવૈામાં આવી છે. તેનો અમલ પહેલી એપ્રિલ ૨૦૨૬થી શરૃ કરી દેવામાં આવ્યો છે.

ફાઇનાન્સ એક્ટ ૧૯૬૧ અને નવા ઇન્કમ ટેક્સ એક્ટ ૨૦૨૫ અનુસાર પહેલી એપ્રિલ ૨૦૨૬થી ટેક્સ રિફંડ સંબંધિત નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. ટેક્સ કન્સલ્ટન્ટનું કહેવું છે કે આવકવેરા ધારા ૧૯૬૧ની જોગવાઈ હેઠળ કરદાતાઓ જૂના કોઈ વર્ષનો આવકવેરો ભરવાનો બાકી હોય અને તેને નામે બાકી ડિમાન્ડ હોય તો તેવા કિસ્સામાં તેની નવા વર્ષની રિફંડની રકમને બાકી રકમ સામે એડજસ્ટ કરી લેવામાં આવે છે.

આવકવેરા ધારો ૨૦૨૫ તૈયાર કરવામાં આવ્યો અને સંસદમાં રજૂ કરવામાં આવ્યો તેમાં લખવામાં આવ્યું હતું કે નવા વર્ષની ટેક્સ રિફંડની રકમને આવકવેરા ધારા ૨૦૨૫માં કરવામાં આવેલી જોગવાઈ પ્રમાણે એડજસ્ટ કરવામાં આવશે. બીજીતરફ નવી જોગવાઈ પ્રમાણે ૨૦૨૧-૨૨ કે ૨૦૨૨-૨૩ના વર્ષની ડિમાન્ડને એડજસ્ટ કરવી મુશ્કેલ બની જતી હતી. તેમ કરવાથી જૂની ડિમાન્ડને એડજસ્ટ કરી શકાય તે માટે આ ફેરફાર કરવામાં આવ્યો છે. 

આમ જૂના અને નવા ટેક્સ હેઠળ એડજસ્ટમેન્ટ કરવામાં માટે બે અલગ અલગ રીતે રિફંડ કરવાની જવાબદારી આવતી હોવાથી ૨૦૨૫-૨૬ના વર્ષનું બજેટ સંસદમાંથી પસાર કરાવતી વખતે એટલે કે છેલ્લી ઘડીએ તેમાં નવા સુધારાઓ કરવામાં આવ્યા હતા. જોકે રિફંડની રકમ પર પહેલાની માફક જ છ ટકાના દરે વ્યાજ આપવામાં આવશે.

જોકે ટેક્સ રિફંડ અથવા બાકી રકમ પર મળતું વ્યાજ નવા ઇન્કમ ટેક્સ એક્ટ ૨૦૨૫ મુજબ ગણવામાં આવશે, ભલે તે વ્યાજ અગાઉના વર્ષનું એટલે કે ૨૦૨૫-૨૬ અથવા તે પહેલાંના વરસોનું હોય તો પણ તેની ગણતરી ૨૦૨૫ના નિયમ મુજબ જ કરવામાં આવશે. આમ જૂના કાયદા મુજબ નહીં પરંતુ નવા કાયદા મુજબ વ્યાજની ગણતરી થશે.

નવી જોગવાઈને પરિણામે આવકવેરાની સિસ્ટમ વધુ સરળ અને એકરૃપ બનશે. જૂના અને નવા કાયદા વચ્ચેના ગૂંચવણ ઘટી જશે.