Gujarat

અમદાવાદ જિલ્લામાં 12 થી 14 વર્ષના 24,642 બાળકોને કોરોનાની રસી અપાઇ

By GS Team
23 Mar 20222 mins read
This article was originally published on 23 Mar 2022
અમદાવાદ જિલ્લામાં 12 થી 14 વર્ષના 24,642 બાળકોને કોરોનાની રસી અપાઇ

અમદાવાદ,તા.23 માર્ચ 2022, બુધવાર

અમદાવાદ જિલ્લામાં છેલ્લા ૧૦ દિવસથી એકપણ કોરોના સંક્રમણનો કેસ નોંધાયો નથી. જેને લઇને આરોગ્ય વિભાગમાં હાશકારાની લાગણી ઉભી થઇ છે. લોકો માટે પણ એક સારો સંકેત છે, જિલ્લામાં ૧૨ થી ૧૪ વર્ષના બાળકોનું રસીકરણ પુરજોશમાં ચાલી રહ્યું છે. જિલ્લામાં ૭૨,૨૯૧ બાળકોના ટાર્ગેટ સામે અત્યાર સુધીમાં ૨૨,૭૧૬ બાળકોને રસી મૂકી દેવામાં આવી છે. જ્યારે ૧૫ થી ૧૭ વર્ષના બાળકના ફસ્ટ ડોઝની ૬૦ ટકા તેમજ સેકન્ડ ડોઝની ૯૭ ટકા કામગીરી પુરી થઇ ગઇ છે.

રાજ્યભરમાં અમદાવાદ જિલ્લામાં થયેલી વેક્શિનેશનની કામગીરીએ કોરોના સંક્રમણને કાબૂ કરવામાં મહત્વની ભુમિકા ભજવી છે. છેલ્લા ૧૦ દિવસથી કોરોનાનો એકપણ કેસ જિલ્લામાં જોવા મળ્યો નથી. રસીકરણની કામગીરી ચાલુ છે અને તેના અંતિમ તબક્કામાં છે. તેવામાં રસીકરણની સાથે કોરોના પ્રોટોકોલનું પણ પાલન કરતા રહેવું જોઇએ. 

માસ્ક, સેનેટાઇઝર, વારંવાર હાથ ધોવા અને ભીડ વાળી જગ્યાએ જવાનું ટાળવું સહિતના નિયમોનું પાલન કરવું જરૂરી છે. આ અંગે જિલ્લા રસીકરણ અધિકારી ડૉ.ગૌતમ નાયકના જણાવ્યા મુજબ જિલ્લામાં અત્યાર સુધીમાં ૨,૯૮,૮,૧૬૭ રસીના ડોઝ આપી દેવાયા છે. જિલ્લામાં ૧૮ પ્લસ ઉંમગરવાળી વ્યક્તિના રસીકરણની કામગીરી પુરી થઇ ગઇ છે. પ્રથમ ડોઝમાં ટાર્ગેટ કરતા ૧૧૫ ટકા અને બીજા ડોઝમાં ૧૨૨ ટકા કામગીરી કરવામાં આવી છે.

૧૮ વર્ષથી મોટી ઉંમરવાળાઓમાં ૧૩,૬૧,૩૫૫ લોકોને પ્રથમ રસીના ડોઝ અપાયા છે. જ્યારે ૧૪,૪૩,૭૦૬ લોકોને બીજી રસીના ડોઝ અપાયા છે. જિલ્લા સિવાયની પણ બહારની વ્યક્તિને દરેક સેન્ટરમાં રસી અપાઇ રહી છે. ૧૫ થી ૧૭ વર્ષના ૧,૦૪,૨૦૫ બાળકોમાંથી અત્યાર સુધીમાં ૬૨,૯૦૬ બાળકોને પ્રથમ રસી અને ૫૩,૭૪૮ બાળકોને બીજી રસી મૂકી દેવાઇ છે. 

પ્રિકોશન ડોઝ એટલેકે ત્રીજી રસીની વાત કરીએ તો કુલ ૭૧,૯૦૨ લોકોના ટાર્ગેટ સામે ૪૧,૮૧૦ લોકોને ત્રીજી રસીનો ડોઝ આપી દેવાયો છે. જિલ્લા આરોગ્ય વિભાગની સતત રસીકરણની ઝૂંબેશે જિલ્લામાંથી કોરોનાને લગભગ નાબૂદ કરી દીધો છે.