Get The App

મહી નદીના કોતરોમાંથી ખનન માફિયાઓની માટી અને રેતીની ચોરી

ભૂસ્તરશાસ્ત્રીનો ઉડાઉ જવાબ જોઇ લઇશું, સ્ટાફ ત્યાં જશે એટલે ચેક કરાવીશું પરંતુ ત્યાં સુધી કોતરો ખોદી નાંખ્યા

Updated: Apr 23rd, 2026

GS TEAM

Google News
Google News
મહી નદીના કોતરોમાંથી ખનન માફિયાઓની માટી અને રેતીની ચોરી 1 - image

વડોદરા, તા.23 વડોદરા જિલ્લામાં મહીસાગર નદીમાં તેમજ કોતરોમાં મોટાપાયે ગેરકાયદે રેતી અને માટીનું ખનન ચાલી રહ્યું  હોવા છતાં ખાણખનિજખાતા દ્વારા કોઇ પગલા લેવામાં આવતા નથી. ગેરકાયદે ખનનના કારણે નદીના કાંઠા વિસ્તારોની સુંદરતામાં પણ ઘટાડો થઇ રહ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ મહી તેમજ નર્મદા નદીમાં મોટાપાયે ગેરકાયદે ખનન ચાલતું હોવા છતાં વડોદરાના ખાણખનિજખાતા દ્વારા કોઇ પગલા લેવામાં નહી આવતા ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા દરોડા પાડવામાં આવતા હોય છે. વડોદરાની કચેરી ઇન્ચાર્જ અધિકારીના  હવાલે હોવાથી કચેરીનો સ્ટાફ મનફાવે તેવી રીતે કામ કરે છે અને ખનન માફિયાઓને છુટો દોર આપી દીધો હોય તેમ લાગી રહ્યું છે.

સાવલી તાલુકાના રુપણકુઇ ગામ પાસેના મહી નદીના કોતરોમાં રેતી અને માટીનું મોટાપાયે ગેરકાયદે ખનન ચાલી રહ્યું છે. તંત્ર દ્વારા આ સ્થળે કોઇપણ પ્રકારના ખનન માટેની મંજૂરી આપવામાં આવી નથી અને કોતરોને ચીરીને માફિયાઓ દ્વારા ગેરકાયદે મોટો વેપાર થઇ રહ્યો છે. આ અંગે ભૂસ્તરશાસ્ત્રી ગામીતને ફરિયાદ કરતા તેમણે જોઇ લઇશું, સ્ટાફ ત્યાં જશે એટલે તપાસ કરાવીશું જેવા જવાબો આપ્યા હતાં.

છેલ્લા ૧૦ દિવસથી ફરિયાદ છતાં પણ ગેરકાયદે ખનન કરનારા પર કોઇ પગલા નહી લેવાતા આશ્ચર્ય સર્જાયું છે. ખાણખનિજખાતા દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવે તે પહેલાં તો ખનન માફિયાઓએ ગેરકાયદે ખનન કરીને કોતરો સાફ પણ કરી નાંખ્યા છે. માઇન્સ સુપરવાઇઝરો, રોયલ્ટી ઇન્સ્પેક્ટરો તેમજ સર્વેયરો ખનન માફિયાઓને બચાવવામાં જ વ્યસ્ત હોય તેવા આક્ષેપો પણ થઇ રહ્યા છે.