Get The App

ગેરકાયદે લેબર કોલોની, નવ ગોડાઉનો તોડી પડાયાં

Updated: Feb 1st, 2026

GS TEAM

Google News
Google News
ગેરકાયદે લેબર કોલોની, નવ ગોડાઉનો તોડી પડાયાં 1 - image

ગાંધીનગર શહેરમાં ગરીબ શ્રમજીવીઓની સાથે અમિર ધંધાર્થીઓ પર પણ તંત્રનો વાર

વાસણા હડમતિયા વિસ્તારમાં ૧૦ જેસીબી સાથે તંત્રએ ઘમસાણ મચાવ્યું : સેક્ટર ૧, ૩, ૧૬,૧૭, ૨૩, ૨૮ અને ૨૯માં ૩૫૦ ઝુંપડાઓ હટાવાયાં : મંડપ, સિમેન્ટ અને એલ્યુમિનિયમના ગોડાઉનો પર બુલડોઝર ફર્યું

ગાંધીનગર: ગાંધીનગર શહેરને દબાણ મુક્ત કરવાના સરકારના સીધા આદેશના પગલે મેદાને ઉતરેલા પાટનગર યોજના વિભાગે શનિવારે ગરીબ શ્રમજીવીઓની સાથે અમિર ધંધાર્થીઓ પર વાર કર્યો હતો. સેક્ટર ૧, ૩, ૧૬,૧૭, ૨૩, ૨૮ અને ૨૯માં ૩૫૦ ઝુંપડાઓ હટાવવા ઉપરાંત વાસણા હડમતિયામાં૧૦ જેસીબી સાથે તંત્રે ઘમસાણ મચાવી ગેરકાયદે લેબર કોલોની, મંડપ, સિમેન્ટ અને એલ્યુમિનિયમના નવ ગોડાઉનો તોડી પાડયા હતાં.

મોંઘામુલની સરકારી જમીનો પર આડેધડ દબાણના મુદ્દે રાજ્યના પાટનગરની સ્થિતિ અન્ય કોઇપણ શહેરથી જુદી રહી નથી. કેમ, કે પાટનગર હોવા છતાં અહીં કોઇપણ તંત્ર દ્વારા દબાણો થતાં અટકાવવા માટે કોઇ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. લારી, ગલ્લા સહિત મોટા દબાણોની વાતે તો હપ્તાખોરી ચલાવાતી હોવાની ચર્ચાઓ સંભળાતી રહે છે.

 શહેર બહારના વિસ્તાર બાદ હવે સેક્ટરોમાં થયેલા દબાણો તોડી પાડવાનો આદેશ મળવાની સાથે પાટનગર યોજના વિભાગે શનિવારે સતત ત્રીજા દિવસે ઓપરેશન ડિમોલીશન ચલાવ્યુ હતું. તેમાં સેક્ટર ૧, ૩, ૧૬,૧૭, ૨૩, ૨૮ અને ૨૯માં ૩૫૦થી વધુ ઝુંપડાઓ હટાવી દેવાયા હતાં. પરંતુ વાસણા હડમતિયા વિસ્તારમાં પહોંચેલી ટુકડીઓના અધિકારીઓ સરકારી જમીન પરના દબાણો જોઇને અચંબિત થઇ ગયા હતાં. અહીં મંડપ ડેકોરેશનના ૬ ગોડાઉન, સિમેન્ટ અને કેમિકલનું એક, એલ્યુમિનિયમ અને પીઓપી મટીરિયલનું એક ગોડાઉન સરકારી જમીન પર જોવામાં આવ્યુ હતું.

 આ ઉપરાંત એક આખી લેબર કોલોની અહીં ઉભી કરી દેવામાં આવી હતી. આ તમામ દબાણ તોડી પાડીને જમીન ખુલ્લી કરાવાઇ હતી.

અધિકારીઓએ ભલામણને નહીં ગાંઠતા રાજકારણીઓ હલી ગયાં

દબાણ હટાવ કામગીરી કરતાં અધિકારીઓ માટે આજનો દિવસ વિશેષ રહ્યો હતો. ખાસ કરીને વાસણા હડમતિયા વિસ્તારમાં ગેરકાયદે લેબર કોલોની, ડ્રાઇવિંગ ટેસ્ટ માટેના ટ્રેક્સ, મંડપ ડેકોરેશન, સિમેન્ટ, કેમિકલ અને એલ્યુમિનિયમ, પીઓપીના નવ ગોડાઉનો પર જેસીબી મંડરાયા ત્યારે નહીં તોડવા માટે રાજકીય ભલામણોનો ધોધ થયો હતો. પરંતુ સચિવાલયથી સીધી સુચનાથી અધિકારીઓ તેને ગાંઠયા ન હતાં. તેથી રાજકારણીઓ પણ હલી ગયા હતાં.