Get The App

નડિયાદ શહેરના ન્યુ શોરક મીલ રોડ ઉપર 56 વર્ષથી ગેરકાયદે બાંધકામ

Updated: Mar 30th, 2026

GS TEAM

Google News
Google News
નડિયાદ શહેરના ન્યુ શોરક મીલ રોડ ઉપર 56 વર્ષથી ગેરકાયદે બાંધકામ 1 - image

- 2022 નો ઠરાવ માત્ર કાગળ પર, કરોડોની જમીનો પર ખાનગી કબજો

- પ્લોટ નંગ 1 થી 57 ખાલી કરાવવામાં તંત્રેની 'રહેમનજર'નો આક્ષેપ : સત્તાધારી પક્ષના નેતાની 3 થી 4 દુકાનો હોવાની ચર્ચા

નડિયાદ : નડિયાદ મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર અને વહીવટી લકવાની સ્થિતિ સપાટી પર આવી છે. વર્ર્ષ ૨૦૨૨માં સામાન્ય સભાએ ઠરાવ નંબર ૬૭ પસાર કરીને શહેરની અનેક કિંમતી જમીનો અને દુકાનોનો કબ્જો પરત લેવાનો આદેશ કર્યો હતો, પરંતુ ૪ વર્ષ જેટલો સમય વીતવા છતાં તંત્ર જમીન કે દુકાનો ખાલી કરાવી શક્યું નથી. ખાસ કરીને ન્યુ શોરક મીલ વિસ્તારમાં કરોડોની કિંમતના પ્લોટ પર ગેરકાયદે દુકાનો તાણી બાંધનારા તત્વો સામે કાર્યવાહી કરવાને બદલે અધિકારીઓની રહેમનજર હોય તેવા આક્ષેપો થઈ રહ્યાં છે. 

નડિયાદ મહાનગરપાલિકાના વહીવટી તંત્રની બેદરકારીને કારણે શહેરના વિકાસ માટે વપરાનારા નાણાં આજે ખાનગી વ્યક્તિઓના ખિસ્સામાં જઈ રહ્યાં છે. વર્ષ ૨૦૨૨મા તત્કાલિન નગરપાલિકાની સામાન્ય સભામાં ઠરાવ નંબર ૬૭ મંજૂર કરવામાં આવ્યો હતો. આ ઠરાવનો મુખ્ય હેતુ એવી મિલકતોનો કબજો પરત મેળવવાનો હતો જેની ભાડાપટ્ટાની મુદત પૂર્ણ થઈ ગઈ છે અથવા જ્યાં ભાડૂઆતોએ શરતોનો ભંગ કરીને મિલકતો બારોબાર વેચી દીધી છે. આ યાદીમાં સૌથી ગંભીર મામલો ન્યુ શોરક મીલને અડીને આવેલા પ્લોટ નંબર ૧થી ૫૭નો છે. આ પ્લોટ પર વર્ષ ૧૯૭૦ની આસપાસ ભાડૂઆતોએ કબજો જમાવ્યો હતો અને ત્યારબાદ કોઈપણ પ્રકારની ટાઉન પ્લાનિંગ મંજૂરી વગર ગેરકાયદે દુકાનોનું બાંધકામ કરી દીધું હતું. આજે ૫૬ વર્ષ કરતા વધુ સમય વીતી ગયો હોવા છતાં આ ગેરકાયદે બાંધકામો દૂર કરવાની તંત્રમાં હિંમત નથી. મહાનગરપાલિકા બન્યા પછી શહેરના વિકાસ માટે મોટા ભંડોળની જરૂર છે, ત્યારે પાલિકા હસ્તકની આ મિલકતો સોનાની લગડી સમાન છે. જો આ ૫૭ પ્લોટ અને તેના પરની દુકાનો ખાલી કરાવીને તેની જાહેર હરાજી કરવામાં આવે તો પાલિકાના ખાલી ખિસ્સા ભરાઈ શકે તેમ છે. આશ્ચર્યની વાત એ છે કે, સામાન્ય સભાના સ્પષ્ટ આદેશ છતાં વહીવટી તંત્ર આ દબાણકર્તાઓને નોટિસ આપવાની તસ્દી પણ લેવામાં આવી નથી. આક્ષેપો મુજબ, આ પ્લોટ પર વર્ષોેથી જામી ગયેલા તત્વો રાજકીય વગ ધરાવે છે, જેના કારણે વહીવટી તંત્ર ઘૂંટણીયે પડી ગયું છે. એક તરફ સામાન્ય નાગરિકના નાના દબાણો પર બુલડોઝર ફેરવતું તંત્ર આટલા મોટા આર્થિક કૌભાંડ સામે આંખ આડા કાન કરી રહ્યું છે તેવી શંકા ઉપજાવે છે.

રાજકીય અગ્રણીઓએ પણ દુકાનો તાણી

સૌથી મહત્વની બાબત એ છે કે, માત્ર રાજકીય વગ ધરાવતા લોકોએ જ નહીં પરંતુ કેટલાક હાલના ટોચના નેતાઓએ પણ દુકાનો બાંધી છે. સત્તાધારી પક્ષના એક નેતાની અત્રે ત્રણથી ચાર દુકાનો આવેલી છે. ત્યારે આ પ્રકારે સરકારી મિકલતો પર ગેરકાયદેસર રીતે કબજો જમાવી રાખવામાં નેતાઓ પણ અગ્રેસર હોવાની ટીખળ થઈ રહી છે.

દુકાનોનું ગેરકાયદેસર રીતે વેચાણ 

નડિયાદ નગરપાલિકાએ જે-તે સમયે ખાલી પ્લોટ ભાડાપટ્ટેથી આપ્યા હતા. તે બાદ લોકોએ દુકાનોનું બાંધકામ કરી દીધું હતું. હવે પ્લોટ તંત્રની માલિકીના હોવા છતાં આ દુકાનો પૈકી અનેક દુકાનોના ગેરકાયદેસર રીતે દસ્તાવેજ કરી વેચાણ થઈ ખાનગી લોકોએ ખિસ્સા ભરી લીધા છે, તેવી ચર્ચાઓ થઈ રહી છે. પરંતુ મનપા દ્વારા કોઈ કાર્યવાહી કરાતી નથી તેવા આક્ષેપ ઉઠી રહ્યાં છે.