Get The App

"નર્મદાનું પાણી કચ્છ મોકલો છો તો વડોદરાને કેમ નથી મળતું?" કાઉન્સિલરોનો સવાલ

Updated: Jun 3rd, 2026

GS TEAM

Google News
Google News
"નર્મદાનું પાણી કચ્છ મોકલો છો તો વડોદરાને કેમ નથી મળતું?" કાઉન્સિલરોનો સવાલ 1 - image

Vadodara : વડોદરા શહેરના વોર્ડ નં. 14ના વિવિધ વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાતા કોંગ્રેસના કાઉન્સિલરો આજે આજવા નિમેટા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે દોડી ગયા હતા. પ્લાન્ટ પર અધિકારીઓ સાથે થયેલી ચર્ચા દરમિયાન પાણીની આવક પૂરતા પ્રમાણમાં ન હોવાનું જાણવા મળતાં કાઉન્સિલરોએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી.

વોર્ડ નં.14ના વચલી પોળ, સોની પોળ, બાજુવાળા, છીપવાડ, બાવરી કુંભારવાડા, નાલબંધવાળા સહિતના વિસ્તારોમાં પીવાનું પાણી ખૂબ ઓછા દબાણથી તેમજ દૂષિત મળી રહ્યું હોવાની ફરિયાદો છેલ્લા ઘણા સમયથી ઉઠી રહી છે. પાણીની સમસ્યાના કારણે સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે. અનેક વિસ્તારોમાં પૂરતા દબાણથી પાણી ન મળતું હોવા ઉપરાંત પાણીની ગુણવત્તા અંગે પણ લોકો સવાલો ઉઠાવી રહ્યા છે.

આ સમસ્યાના કાયમી ઉકેલ માટે વોર્ડ નં.14ના કાઉન્સિલર તીર્થ બ્રહ્મભટ્ટ અને દીપા શ્રીવાસ્તવ આજવા ખાતે નિમેટા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પહોંચ્યા હતા. તેમણે સંબંધિત અધિકારીઓ સાથે પાણી પુરવઠાની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી અને અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક અસરકારક પગલાં લેવા રજૂઆત કરી હતી.

કાઉન્સિલરોએ જણાવ્યું હતું કે આજવા સરોવરની સપાટી હાલમાં 206 ફૂટ છે, અધિકારીઓ નર્મદા નદીમાંથી પાણીની આવક ન હોવાનું કારણ આપી રહ્યા છે. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે જો નર્મદામાં પાણીની આવક ન હોય તો કચ્છ તરફ પાણી કેવી રીતે મોકલવામાં આવે છે? તેમજ નર્મદામાં પાણીની અછત હોય તો મહીસાગરમાંથી પાણી મેળવવા માટે વિકલ્પ શોધવો જોઈએ.

કાઉન્સિલરોના જણાવ્યા મુજબ છેલ્લા 20 દિવસથી અસહ્ય ગરમી વચ્ચે તેમના વિસ્તારના લોકો પાણી માટે ટળવળી રહ્યા છે. પાણીના ઓછા દબાણ અને દૂષિત પાણીની સમસ્યાના કારણે મોટી સંખ્યામાં નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.