Get The App

૧૫ જૂન સુધીમાં વરસાદ નહીં પડે તો સ્થિતિ વકરશે

શહેરની પાણીની ટાંકીઓના લેવલ ઘટતાં પુરવઠા પર અસર

પૂર્વ વિસ્તારમાં પાણીનો કકળાટ

Updated: Jun 6th, 2026

GS TEAM

Google News
Google News
૧૫ જૂન સુધીમાં વરસાદ નહીં પડે તો સ્થિતિ વકરશે 1 - image

શહેરના ચાર દરવાજા વિસ્તાર તેમજ પૂર્વ વિસ્તારમાં ફરી એક વખત પાણીની સમસ્યા ગંભીર બનતી જોવા મળી રહી છે.

વોર્ડ નંબર-૧૫ના કોંગ્રેસી કાઉન્સિલરે ચેતવણી આપી છે કે, જો ૧૫ જૂન સુધીમાં વરસાદ નહીં આવે તો પૂર્વ વિસ્તારની પાણીની સ્થિતિ વધુ વિકટ બની શકે છે.

એમણે કહ્યું કે, એક અઠવાડિયાથી પાણી પુરવઠામાં દરરોજ ૧૫ મિનિટનો કાપ શરૂ કરાયો છે. શહેરની વિવિધ પાણીની ટાંકીઓમાં પાણીનું સ્તર સતત ઘટી રહ્યું હોવાથી આ પરિસ્થિતિ સર્જાઈ છે.

એમણે ઉમેર્યું કે આજે નાલંદા પાણીની ટાંકીનું લેવલ હાલ ૧૯ ફૂટ હોવું જોઈએ, પરંતુ તે ઘટીને ૧૩.૫૦ ફૂટ પર પહોંચી ગયું છે. પાણીગેટ પાણીની ટાંકીનું લેવલ ૧૪ ફૂટના બદલે માત્ર ૧૦ ફૂટ રહ્યું છે, જ્યારે બાપોદ પાણીની ટાંકીનું સ્તર ૧૨ ફૂટની સામે ૯ ફૂટ છે.

એમનું કહેવું છે કે અગાઉ આજવા સરોવરની સપાટી ૨૦૯ ફૂટ સુધી પહોંચે ત્યારે ફેબ્રુઆરી મહિનાથી જ આજવા સરોવરમાં નર્મદા કેનાલ મારફતે પાણીની આવક શરૂ કરાતી હતી. જોકે આ વખતે મ્યુનિ. કોર્પોરેશનના અધિકારીઓની ભૂલના કારણે આગોતરી કામગીરી થઈ નથી, જેના કારણે આજવા સરોવરની સપાટી હવે ર૦૬ ફૂટ સુધી નીચે આવી ગઈ છે.

કાઉન્સિલરે જણાવ્યું કે, હવે નર્મદાનું પાણી છોડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવે તો પણ તેની અસર પહોંચતાં સમય લાગશે અને હાલની ઘટતી જતી જળસંચયની સ્થિતિને પહોંચી વળવું મુશ્કેલ બની શકે છે. પૂર્વ વિસ્તારમાં પાણી પહોંચાડવા માટે આજવા અને નર્મદા સિવાય અન્ય કોઈ વૈકલ્પિક સ્ત્રોત ઉપલબ્ધ નથી.