Get The App

અમદાવાદ: થલતેજમાં માસૂમ બાળકોની હાજરીમાં જ પતિએ પત્ની પર છરીના ઘા ઝીંક્યા, પરિણીતા હોસ્પિટલ ખસેડાઈ

Updated: Apr 1st, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદ: થલતેજમાં માસૂમ બાળકોની હાજરીમાં જ પતિએ પત્ની પર છરીના ઘા ઝીંક્યા, પરિણીતા હોસ્પિટલ ખસેડાઈ 1 - image


Ahmedabad News : અમદાવાદના થલતેજ વિસ્તારમાં રહેતા એક શ્રમજીવી પરિવારમાં સામાન્ય બાબતે મોટો ઝઘડો થયો હતો. ગત 31મી માર્ચના રોજ બપોરે ચારેક વાગ્યાની આસપાસ પરિણીત યુવતી પાસે તેના પતિએ 200 રૂપિયાની માંગણી કરી હતી. જો કે, યુવતીએ પોતાની પાસે પૈસા ન હોવાનું જણાવતાં પતિ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને પત્નીને ગાળો ભાંડી તેના વાળ પકડીને બેરહેમીથી માર મારવાનું શરૂ કર્યું હતું. ઘરમાં હાજર 10 વર્ષનો દીકરો અને 3 વર્ષનો દીકરો માતાને માર પડતો જોઈને ડરના માર્યા રડવા લાગ્યા હતા. આ દરમિયાન ઉશ્કેરાયેલા પતિએ પત્નીના પેટમાં છરીના ઘા ઝીંકી દીધા હતા.

અમદાવાદના થલતેજમાં પતિએ પત્નીના પેટમાં છરીના ઘા ઝીંક્યા

થલતેજમાં પતિ-પત્નીના ઝઘડોમાં યુવતીએ જ્યારે પતિને માર મારતો અટકાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે ગુસ્સામાં રહેલા પતિએ પત્નીના પેટમાં ચપ્પુના ઘા મારી દીધા હતા. લોહીલુહાણ હાલતમાં માતા જમીન પર ઢળી પડતાં 10 વર્ષીય પુત્રએ બૂમાબૂમ કરી મૂકી હતી. ક્રૂરતાની હદ તો ત્યારે વટાવી ગઈ જ્યારે પિતાએ પુત્રને એમ્બ્યુલન્સ બોલાવવા પર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આમ છતાં આ બહાદુર બાળકે પિતાથી છૂપાઈને મદદ માટે ફોન કરી દીધો હતો. તેવામાં બાળકો અને પત્નીની બૂમો સાંભળીને આસપાસના લોકો ભેગા થતાં જ આરોપી ધીરજ ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

પરિણીતા હોસ્પિટલમાં દાખલ

હુમલા બાદ લોહીલુહાણ હાલતમાં પરિણીતા લાંબા સમય સુધી જમીન પર તરફડિયાં મારતા રહી હતી. આ દરમિયાન ઘટનાસ્થળે પરિણીતાના ભાભી આવી પહોંચ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ગંભીર રીતે ઇજાગ્રસ્ત પરિણીતાને સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. 

આ પણ વાંચો: માધુપુરામાં હત્યાના આરોપીનો આતંક, પેરોલ પર છૂટીને મૃતકના જ પરિવારની કારમાં કરી તોડફોડ

હાલમાં પરિણીતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સમગ્ર મામલે પરિણીતાએ હોસ્પિટલમાં પોલીસ સમક્ષ નિવેદન આપ્યું હતું. જેના આધારે બોડકદેવ પોલીસે ફરાર આરોપી પતિ વિરુદ્ધ જીવલેણ હુમલો અને મારામારીનો ગુનો દાખલ કરીને કાયદેસરની તપાસ હાથ ધરી છે.