Jamnagar Accident : જામનગર નજીક જામનગર-રાજકોટ હાઇવે પર બેદરકારીપૂર્વક બાઈક ચલાવનાર ચાલકે દર્શનાર્થે પગપાળા જતા દંપતીને પાછળથી ઠોકર મારી ગંભીર ઇજાઓ પહોંચાડ્યાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે પંચ ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ફરીયાદી નિલેષભાઈ મુળજીભાઈ નકુમ (ઉ.વ. 42, ધંધો પ્લમ્બર, રહે-ધુવાવ ગામ, જામનગર) પોતાની પત્ની પ્રભાબેન સાથે મોડાગામ ખાતે દર્શન કરવા પગપાળા જઈ રહ્યા હતા.
તે દરમ્યાન તા. 16/03/2026ના રોજ સવારે આશરે 08:30 વાગ્યે શેખપાટ પાટીયાથી જાબુડા પાટીયા વચ્ચેના હાઇવે રોડ પર પાછળથી જી.જે. 10 ઇ.જે. 6221 નંબરના બાઈકચાલકે બેફામ અને બેદરકારીથી વાહન ચલાવી તેમને જોરદાર ઠોકર મારી હતી.
આ અકસ્માતમાં નિલેષભાઈને ડાબા પગના ઘૂંટણ નીચે ફ્રેક્ચર સહિત ગંભીર ઇજાઓ પહોંચી હતી, તેમજ ડાબા હાથમાં 11 ટાંકા લેવા પડ્યા હતા, અને શરીર પર પણ છોલાછાલ ઇજાઓ થઈ હતી. જ્યારે તેઓના પત્ની પ્રભાબેનને પણ નાની મોટી ઈજા થઈ હતી.
આ બનાવ અંગે પોલીસ દ્વારા ભારતીય ન્યાય સંહિતા કલમ 281, 125(એ) તથા મોટર વાહન અધિનિયમ કલમ 177 અને 184 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપી બાઈકચાલક વિરુદ્ધ વધુ તપાસ હાથ ધરી છે.


